અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત
Bharuch News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બેદરકારીપૂર્વક ઊભેલા એક કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા ભવન વાલુભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો આઈશર ટેમ્પો ડ્રાઈવર કુલદીપસિંહ મનીસિંહ પોનીયા ચલાવતા હતા. આજે (3 ઓગસ્ટ) વહેલી સવારે 4 વાગ્યે વડોદરાથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી બ્રિજ ચડતી અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, બ્રિજ પર એક કન્ટેનર પાર્કિંગ લાઈટ વગર બેદરકારી દાખવીને ઊભું હતું. આ ઊભેલા કન્ટેનરની પાછળ કુલદીપસિંહનો આઈશર ટેમ્પો ઘૂસી ગયો હતો, જેના કારણે કુલદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે આઈશર ટેમ્પોના કેબિનમાંથી કુલદીપસિંહનો મૃતદેહ બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ પણ વાંચો: મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ
આ બનાવ અંગે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદના આધારે હાઈવે ઉપર કન્ટેનર ઊભું રાખી બેદરકારી દાખવનાર કન્ટેનર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વાલિયા ચોકડી બ્રિજ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.