| પ્રતિકાત્મક તસવીર |
Dahod News : ગુજરાતમાં શ્વાનના આંતકની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દાહોદના ફતેપુરા તાલુકામાં હડકાયા શ્વાને 22થી વધુ લોકો પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલાં વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
દાહોદમાં દાહોદના ફતેપુરામાં હડકાયા શ્વાને 22 લોકોને ભર્યા બચકાં
મળતી માહિતી મુજબ, દાહોદના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હડકાયા શ્વાને ઘરમાં સૂઈ રહેલા લોકો સહિત ઘણાં ગ્રામજનો પર હુમલો કર્યો હતો. જેમાં 22થી વધુ લોકોના હાથ, પગ, ચહેરા સહિતના ભાગે શ્વાને બચકાં ભર્યા હતા.
હડકાયા શ્વાનના હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્રને યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. જ્યારે ગામમાં રેબીઝ વિરોધી રસીકરણ કેમ્પ યોજવાની માગ કરી છે.


