પાંચ વર્ષના બાળકને સિંહે ઊઠાવી ઝાડીમાં લઈ જઈ મોતને ઘાટ ઊતાર્યો
- સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે હાહાકાર મચ્યો
- વન વિભાગની ટીમોએ આદમખોર સાવજને લોકેટ કરી બેભાન કર્યા બાદ આંબરડી કેર સેન્ટરમાં ખસેડયો
- શ્રમિક પરિવાર ખેતીકામ કરતો હતો ત્યારે પાંચ પૈકી એક બાળકને સિંહે ટારગેટ કરી લીધો
થોરડી ગામે ખેડૂતની વાડીએ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર પાંચ નાના નાના બાળકો સથે રહે છે. અહીં વરસાદ પછી ખેતીકામ ચાલતું હતું. જેમાં હીરાભાઈ અજનેરા અને પરિવારજનો કામ કરત હતાં. જમવાનો સમય થતા જ બાળકોને હીરાભાઈ અજનેરાએ જમવા માટે ઓરડી તરફ મોકલ્યા હતાં એ જ વખતે જરા પણઅવાજ ન થાય એમ એક ખૂંખાર સિંહ આવી ચડયો હતો. અને પાંચ બાળકો પૈકી પાંચ વર્ષના ગુલસિંહને ઝડબામાં પકડી લેતા ભારે રાડારાડ મચી ગઈ હતી. આથી પરિવારજનો કામ પડતું મુકી દોડયા હતાં. પરંતુ સિંહનો પીછો કરનારા પરિવારજનો સામે કરડી આંખે પ્રતિકાર કરતા સૌ ડઘાઈ ગયા હતાં. અને એ જ ક્ષણે સાવજ છલાંગો મારતો મારતો ૨૦૦ મીટર દૂર ઝાડીમાં ચાલ્યો ગયો હતો. આ ઘટના બનતા ભારે કાગારોળ મચી ગઈ હતી. એ પછી વાડી માલિકે વન વિભાગને જાણ કરતા બનાવની ગંભીરતા જોઈ શેત્રુંજી ડિવિઝન અને ગીર પૂર્વ ડિવિઝનના અધિકારીઓ ૧૦૦ કર્મચારી સ્ટાફ સાથે પહોંચ્યા હતાં અને આદમખોર સિંહને પકડી પાડવા જુદી જુદી ટૂકડીઓ કામે લાગી ગઈ હતી.
આ ઘટનામાં બાળકને સિંહે ઝાડીમાં જ મોતને ઘાટ ઉતારી દઈ ફાડી ખાતાં માત્ર ખોપરી હાડકા જ બચ્યા હતા. જે વન વિભાગે હસ્તગત કરી સાવરકુંડલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.
વન વિભાગના એસીએફ કપિલ ભાટીયાએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આદમખોર સિંહનું ઝાડીમાં લોકેશન મળતા તેને તાત્કાલિક લોકેટ કરી ટ્રાન્કવીલાઈઝિંગ ગનથી ઘેનનું ઈન્જેકશન આપી સિંહને બેભાન કર્યો હતો. બાદ પાંજરામાં પુરી ધારી નજીક આંબરડી સફારી પાર્ક એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયો છે.
આદમખોર સિંહે શિકાર કર્યા બાદ ઝાડીમાં એક કલાક ત્યાં જ બેઠો રહ્યો
બાળકને મોતને ઘાટ ઉતારી આદમખોર સિંહ ત્યાં જ સતત એક કલાક બેઠો રહ્યો હતો. આથી વન વિભાગે તેને ત્યાંથી ખદેડતાં બાજુના ખેતરમાં જઈને બેસી ગયો હતો. એ પછી વન વિભાગે બાળકની ખોપરી અને માનવકંકાલ હાડકા એકત્ર કર્યા હતા.
ગનમાંથઈ ઈન્જેકશન છોડતા જ સિંહે ઊલટીમાં મૃત બાળકના માંસના લોચા બહાર કાઢયા
જયારે જયારે વન વિભાગ જંટલી પ્રાણીને ટ્રાન્કિવલાઈઝડ કરવા ઈન્જેકશન મારે છે ત્યારે તે પ્રાણી ઊલટી કરે છે. આ કિસ્સામાં પણ સિંહને ઈન્ઝેકશન મારતા તેણે મોટી ઊલટી કરી હતી. એ પછી વન અધિકારીઓએ બાળકના માંસના ખાધેલા લોચા એકત્ર કર્યા હતા જેનું હવે પરીક્ષણ કરાશે.
એક માસ પહેલા લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને સાવજે ફાડી ખાધો હતો
અમરેલી જિલ્લામાં સિંહના હુમલામાં એકાદ માસ પહેલા લાઠી તાલુકાના લુવારીયા ગામના સરપંચના પુત્ર અરદીપ ઉપર હુમલો થતા મોત નીપજયું હતું. એ ઘટના પછી ફરી નવી ઘટના બનતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
પોસ્ટમોર્ટમમાં હાડકા અને ખોપરી જ પોટલું બાંધી મોકલ્યા
ઝાડી પાસે ઘટના સ્થળે બેઠેલા સિંહને વનતંત્રે ખદેડયા બાદ ખોપરી રીકવર કરી હતી અને માનવકંકાલ હાડકાઓ હસ્તગત કરી પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં મોકલ્યા હતા.