આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા માટે 500 રૂપિયાનો દંડ
- અમૂલ પાર્લરમાં મળશે 2 રૂપિયાના માસ્ક
અમદાવાદ, તા. 1 ઓગસ્ટ 2020 શનિવાર
માસ્ક નહીં પહેરતા લોકો માટે આજથી 500 રૂપિયાનો દંડ લેવામા આવશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી એટલે આજથી આખા ગુજરાતમાં લાગુ પડશે. ત્યારે સામાન્ય માણસ પણ માસ્ક ખરીદી શકે તે માટે આજથી આખા રાજ્યના અમૂલ પાર્લર પરથી બે રૂપિયામાં માસ્કનું વિતરણ કરવામાં આવશે. આ દંડની રકમ પહેલા રૂપિયા 200 હતી.
આ સાથે જ રાજ્યના લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના પાર્લર પરથી બે રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્કનું વેચાણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં પણ અમૂલ પાર્લર પરથી લોકો એન 95 અને સર્જિકલ માસ્ક ઓછી કિંમતે મેળવી શકતા હતા.
નોંધનીય છે કે, રાજ્યની સાથે આખા દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. જેના કારણે લોકોને વધારે સાવચેતી રાખવાની જરૂર છે. આ માટે ઘરની બહાર જવા માટે માસ્ક ફરજિયાત છે.
સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમ જ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે કોરોના ગાયબ થઈ ગયો છે.