Gujarat

સિવિલમાં 303, સ્મીમેરમાં 117 વેન્ટિલેટરઃ કોવિડના દરેક દર્દીને જરૃર પડતી નથી

By GS Team
18 Jul 20202 mins read
This article was originally published on 18 Jul 2020
સિવિલમાં 303, સ્મીમેરમાં 117 વેન્ટિલેટરઃ કોવિડના દરેક દર્દીને જરૃર પડતી નથી

સુરતતા.18.જુલાઇ.2020 શનિવાર

સુરતની સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પૂરતા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કુલ 110 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. અને સરકાર દ્વારા વધુ 7 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યાં છે. જયારે નવી સિવિલ હોસ્પિટલ પાસે કુલ 303 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. 129 વેન્ટિલેટર બેડની સુવિધા કાર્યરત છે. જે હાલની પરિસ્થિતિ મુજબ પૂરતાં છે, તેમ નોડલ ઓફિસર ડો.કમલ નાયકે  જણાવ્યું છે. 

નોડલ ઓફિસરે વધુમાં કહયું કે, દરેક કોરોના દર્દીને વેન્ટિલેટરની જરૃર હોતી નથી. ગંભીર હાલતમાં દાખલ થયેલા દર્દીઓને વેન્ટિલેટરની જરૃર પડે છે. કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે અમૂક દર્દીઓને માત્ર ઓક્સિજનની જ જરૃર પડતી હોય છે. એમાના કેટલાક દર્દીઓને 5 કે 10 અથવા 15 લિટર સુધીની ઓક્સિજનની જરૃર પડે છે. આમાંથી જો કોઈ દર્દીને 15 લિટરથી વધારે જરૃર હોય અને તેનું બ્લડ સર્ક્યુલેશન મેન્ટેઈન ન થતું હોય તેવા દર્દીને બાયપેપ મશીન અથવા વેન્ટિલેટરથી સપોર્ટ આપવામાં આવે છે.

સાવચેતીના ભાગરૃપે રાજ્ય સરકારે વધુ 7 વેન્ટિલેટર પૂરા પાડયા છે, હાલ સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલ પાસે પૂરતી માત્રામાં વેન્ટિલેટર હોવાથીં કોરોનાના દર્દીઓની સારી રીતે સારવાર થઇ રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ સ્થિતિની સમીક્ષા કરીને જરૃરિયાત પ્રમાણે વધુ વેન્ટિલેટરનો જથ્થો પૂરો પાડશે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ 110 વેન્ટિલેટર અને ઈમરજન્સી દર્દીઓ માટે અલગથી બે વેન્ટિલેટર રાખ્યા છે. પી.એમ કેયર્સ અંર્તગત અત્યાર સુધીમાં 40 જેટલા વેન્ટિલેટર અપાયા છે. સરકારી હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફના સઘન પ્રયાસો અને માઇક્રો પ્લાનીંગ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે.

 

સુરતની ખાનગી હોસ્પિટલોને સરકાર 50 વેન્ટિલેટર ફાળવશે

મુખ્ય મંત્રી વિજય રૃપાણીએ સુરત મહાનગર પાલિકામાં કોરોના સંક્રમિતોની વધુ સારી સુવિધા અને ગંભીર હાલતના દદીઓની સારવારમાં ઉપયોગી 50 વેન્ટીલેટર સુરતમાં ખાનગી ક્ષેત્રની પ્રાઇવેટ હોસ્પિટલ માટે પુરા પાડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

.