Get The App

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે 1 - image

જિલ્લામાં 370 તલાટીનું મહેકમ છતાં માત્ર 300 તલાટીઓની જ નિમણૂંક 

પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫, જ્યારે મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન : સરકારના પરિપત્રથી તલાટીઓમાં નારાજગી

આણંદ: આણંદ જિલ્લામાં સરકારી કામ પડતું મુકીને હવે ૩૦૦ જેટલા તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરી કરાવડાવશે. જિલ્લા પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે, જ્યારે કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન હોવાની માહિતી બહાર આવી છે. ત્યારે હવે સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે. આણંદ જિલ્લા પશુ નિયંત્રણ વિભાગ મુજબ જિલ્લાના અંદાજિત ૩૫૯ જેટલા ગામડાઓમાં ૨૧,૧૭૫ જેટલા રખડતા શ્વાન હોવાનું અને કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે માત્ર મનપાના વિસ્તારમાં જ ૧૮,૦૦૦થી વધુ શ્વાન છે. જે માટે રૂપિયા ૧.૮ કરોડની રકમનું ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. જિલ્લા પશુ વિભાગના આંકડા મુજબ આણંદ તાલુકામાં ૩,૬૫૦, આંકલાવ તાલુકામાં ૧,૯૦૮, બોરીઆવીમાં ૨૨૪, બોરસદમાં ૪,૩૮૫, ખંભાતમાં ૩,૧૮૮, પેટલાદમાં ૨,૫૯૯, તારાપુરમાં ૧,૬૮૭, ઉમરેઠ ૧,૮૮૫ જેટલી રખડતા શ્વાનની સંખ્યા નોંધાઈ છે. જ્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં ૧૮,૦૦૦થી વધુની સંખ્યા જણાવી છે. જેથી આણંદ જિલ્લામાં કેટલા રખડતાં શ્વાન છે, એની પાક્કી માહિતી જણાતી નથી. આણંદ જિલ્લા પંચાયતમાં સમાવેશ કરાયેલા અંદાજિત ૩૬૦ જેટલા ગામોમાં હાલ ૩૭૦ તલાટીઓનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોેથી જિલ્લામાં માત્ર ૩૦૦ જેટલા તલાટીઓની નિમણૂંક થયેલી છે. જેથી સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે, તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 

- જિલ્લામાં શ્વાનની સંખ્યાની દ્રષ્ટિએ એક તલાટી સરેરાશ ૭૦ શ્વાન શોધશે

જિલ્લાના પશુ નિયંત્રણ વિભાગ મુજબ, જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે. જેથી જિલ્લાના ૩૦૦ જેટલા તલાટીઓેને સરેરાશ ૭૦ શ્વાન શોધવા પડશે. તેમને પકડીને ગામના શેલ્ટર હોમમાં પૂરીને ખસીકરણ, ટ્રીટમેન્ટ અને ખાવાપીવાની પણ કામગીરી પણ કરવી પડશે. 

- ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા રખડતા શ્વાન શોધવાના પરિપત્રને રદ કરવા માંગ

ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા ગુરૂવારે રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે કે, રખડતા શ્વાન પકડવાની કામગીરી તલાટીઓની નથી પશુપાલન વિભાગની છે. શ્વાન પકડવાની કામગીરીથી તલાટીઓ ગામમાં હાસ્યને પાત્ર બની શકે તેમ છે. તેમજ મહિલા તલાટીઓને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેમ છે. આ કામગીરી માટે તલાટીઓને તાલીમના માર્ગદર્શનનો અને સાધનનો અભાવ હોવાથી કામગીરી થઈ શકે તેમ નથી. જેથી પશુપાલન વિભાગ પાસેથી રખડતા શ્વાન પકડવાની કામગીરી રાજ્ય સરકારે કરાવવી જોઈએ. જેથી સંબંધિત પરિપત્ર તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.