સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો

Free Ration Scheme: એક બાજુ, ગુજરાત ઔદ્યોગિરક સહિત અન્ય ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે બીજુ બાજુ, સમૃદ્ધ ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં 3.65 કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તુ અનાજ મેળવવા મજબૂર બન્યાં છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. ગરીબીનું દારૂણ ચિત્ર ઉભર્યું છે, તેમ છતાંય સાાધીશો બણગાં ફુંકી રહ્યાં છે કે, ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે.
વ્યાજબી ભાવની દુકાને લાઈનમાં ઊભા રહેનારાંની સંખ્યામાં વધારો
ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ઼રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરૂ પાડવામાં આવે છે. સાથે સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠુ વિતરણ કરાય છે. ગુજરાતમાં હાલ કુલ રેશનકાર્ડ ધારકોની સંખ્યા 75.17 લાખ છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 3.41 કરોડ રૂપિયા લોકો મફત અને રાહત દરે અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025-26માં વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારાંની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી છે.
આ પણ વાંચો: ગુજરાતની ગજબ ઘટના! અમદાવાદમાં 35 વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર, 25 પરિવાર પર આફત
પાંચ વર્ષના સમયગાળામાં મફત-સસ્તા દરે અનાજ લેનારાઓની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે. જે ગુજરાતના ગરીબ પરિવારોની દારુણ સ્થિતિની કડવી હકીકત રજૂ કરે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ ૨૦૨૫માં મફત-સસ્તુ અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઈ છે. દર વર્ષે સસ્તુ-મફત અનાજ મેળવનારાંની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે રાજ્યસભામાં રિપોર્ટ રજૂ કર્યો છેકે, ગુજરાતમાં 365.84 લાખ લોકો રેશનકાર્ડ આધારે મફત અને રાહત દરે અનાજ, તેલ, ચણા,ખાંડ અને મીઠું મેળવે છે. સમૃદ્ધ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતની ઓળખ ધરાવતાં ગુજરાતમાં જ ગરીબ પરિવારોની સ્થિતિ વધુને વધુ કફોડી બની રહી છે. લોકોના આર્થિક સુધાર માટેની અનેક સરકારી યોજનાનો અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી. નોંધનીય છે કે, દેશમાં કેરળ ગરીબીમાંથી મુક્ત થયું છે, જ્યારે ગુજરાત પરિસ્થિતિ ઉલટી છે કેમ કે, અહીં ગરીબ પરિવારોની સંખ્યામાં વધી રહી છે. લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે, ત્યારે ભાજપ અને રાજ્ય સરકારે મફત-સસ્તા દરે અનાજ વહેચીને રાજકીય સિદ્ધી ગણાવી રહી છે.

