Get The App

વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, બે મહિલા બેભાન

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, બે મહિલા બેભાન 1 - image


PM Modi Road Show in Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે. હોમગાર્ડ જવાના પરિવારે આક્ષેપ કર્યો છે કે નિતેશભાઇને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હોત તો તેમનો જીવ બચી ગયો હોત.

વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. 

આ પણ વાંચો: વડોદરામાં રોડ શો બાદ PM મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનોને આપી લીલી ઝંડી

પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે, જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે. બનાવના પગલે તેમના સગા વાલા અને મિત્રો સયાજી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા. 

નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો જીવ બચી જાત: પરિવાર

હોમગાર્ડ જવાનના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, નિતેશભાઈ કિશનવાડી વિસ્તારમાં પોઈન્ટ પર હાજર હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ, નિતેશભાઈને નજીકની હાર્ટ હોસ્પિટલમાં લઈ જવાને બદલે દૂર આવેલી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા. જો તેમને નજીકની જ હોસ્પિટલમાં લઈ ગયા હોત અને તાત્કાલિક સારવાર મળી હોત તો તેમનો જીવ બચી ગયો હોત.

વડોદરામાં કાઢવામાં આવી સિંદૂર યાત્રા

ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.  ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી. 

Tags :