ગુજરાતમાંથી પકડાયેલા 210 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Ahmedabad News : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી ગેરકાયદે દબાણો હટાવ્યા ત્યારે આસપાસના વિસ્તારમાં ક્રાઇમબ્રાંચના મેગા ઓપરેશનમાં 198 બાંગ્લાદેશી ઝડપાયા હતા. જ્યારે રાજ્યમાંથી ઝડપાયેલા કુલ 210 બાંગ્લાદેશીને તેમના દેશ ડિપોર્ટ કરવાની પરવાનગી મળી છે, ત્યારે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને આગામી 5 દિવસમાં ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર લઈ જઈને તેમના બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.
210 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે
અમદાવાદ ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા 198 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજ્યના અન્ય શહેરના મળીને કુલ 210 બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે.
નોંધનીય છે કે, કોઈપણ વિદેશી નાગરિક ઝડપાયા બાદ તેમને ડિપોર્ટ કરવામાં લગભગ બે મહિના જેટલો સમય લાગતો હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની એજન્સી અને ગુજરાત પોલીસ દ્વારા ટૂંકાગાલામાં ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પહેલા અધિકારીઓની બેઠક યોજાઈ હતી
જ્યારે શનિવારે (3 મે, 2025) અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. જેમાં શહેરમાંથી બાંગ્લાદેશીઓને ડીટેઈન કર્યા તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ અધિકારીઓ સાથે આગામી કામગીરી અંગે બેઠક કરવામાં આવી હતી.