ગત વર્ષ કરતાં 50% ઓછો પાક અને નફાને કારણે ખેડૂતોએ કેસર કેરીના 20000 આંબા ઊખાડી નાખ્યા
Kesar Mango Farmers Uproot Trees: ગીર વિસ્તારના કેરીનો પાક લેતા ખેડૂતોએ આ વર્ષે વીસ હજાર જેટલાં આંબાને જડમૂળમાંથી કાઢીને અન્ય વિકલ્પ તરફ પોતાનો નિર્વાહ ચલાવવાનું પસંદ કર્યું. 26મી એપ્રિલથી તાલાલા ગીરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ચાલુ થઈ હતી. આજે 8100 બોક્સની આવક આવી હતી અને ખેડૂતોને 10 કિલોના બોક્સનો તળીયાના રૂ.550થી લઈને ટોચનો રૂ.1100નો ભાવ મળ્યો હતો.
ગ્લોબલ વૉર્મિંગની અસરના કારણે કેસર કેરીના પાકમાં ઘટાડો
તાલાલા માર્કેટિંગ યાર્ડના સભ્યએ જણાવ્યું હતું કે ગઈ સાલ પણ પાક ઓછો જ થયો હતો જેની અહીં વ્યાપક અસર થઈ છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે દર વર્ષે આંબામાં ભરચક મોર આવ્યા બાદ કોઈને કોઈ કારણસર ફળનું બંધારણ થતું નથી. જેના કારણે તેની સીધી અસર કેસર કેરીની આવક પર થઈ રહી છે.
20,000 જેટલા કેસર કેરીના આંબાને ખેતરોમાંથી કાઢી નાંખવામાં આવ્યા
ખેડૂતો પોતાના ખેતરમાં આંબાને ઊખાડી રહ્યા છે. અમારે ત્યાં આ એક સામાન્ય સમાચાર છે. વધુ માવજત અને ઓછી આવકને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં 20,000 જેટલા કેસર કેરીના આંબાને ખેતરોમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આજે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર જાણી શકશો રિઝલ્ટ
ગત વર્ષ કરતાં પચાસ ટકા ઓછા પાક અને નફો
માવજત પાછળ થતો ખર્ચ અને યોગ્ય સમયે પાક ન મળતા ખેડૂતોને નફા કરતાં નુકસાન જવાનો ભય વિશેષ રહે છે. વધુ કેસરના આંબાની સાથે કેટલાક અન્ય પાક ઊગાડી ન શકાતા હોવાથી પણ ખેડૂતને અન્ય સિઝનમાં પણ યોગ્ય લાભ થતો નથી. આ વર્ષે કેસરનું ફળ પણ સારું છે. મ્હોરમાંથી કેરી બનાવાની પ્રક્રિયામાં ગ્લોબલ વૉર્મિંગની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આંબાના મોર એટલા સંવેદનશીલ હોય છે કે એકવાર જો વાતાવરણ બદલાય તો તેની સીધી અસર કેરીઓના પાક પર થાય છે.