VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા ગણેશજી
Ganesh Chaturthi 2025 : ભાદરવા સુદ ચોથના દિવસથી દેશભરમાં ગણપતિ દાદાની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણી શરૂ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલું એકદંત ગણપતિનું મંદિર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરનો મહિમા અનોખો છે, કારણ કે અહીં બિરાજમાન ગણેશજીની પ્રતિમા ભારતભરમાં માત્ર બે જ જગ્યાએ જોવા મળે છે. જેમાં એક ધ્રાંગધ્રામાં અને બીજી દક્ષિણ ભારતમાં ગોલકોંડા ખાતે છે.
મૂર્તિની અનોખી વિશેષતા
આ મંદિરની સૌથી મોટી વિશેષતા અહીંની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિ સીધી સૂંઢ ધરાવે છે અને એકદંત છે. આ ઉપરાંત, દાદાએ ગળામાં સર્પની જનોઈ ધારણ કરેલી છે. આ વિશાળ મૂર્તિ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે અહીં બિરાજમાન છે, જે દર્શનાર્થીઓને શાંતિ અને આસ્થાનો અનુભવ કરાવે છે.
ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા સ્થાપના
આ મંદિરનો ઇતિહાસ લગભગ 200 વર્ષ કરતાં પણ જૂનો છે. તેનું નિર્માણ ધ્રાંગધ્રા સ્ટેટના તત્કાલીન રાજા રણમલસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી આ મંદિર સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજે પણ લોકો અહીં શ્રદ્ધાપૂર્વક બાધા રાખે છે અને પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે.
આ પણ વાંચો: વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી
વૈશાખ સુદ ચોથ અને મહાપ્રસાદનો મહિમા
ભાદરવા સુદ ચોથ અને વૈશાખ સુદ ચોથના દિવસે આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આજના દિવસે ખાસ કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો ગોળ અને લાડુનો પ્રસાદ ધરાવે છે. વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તોની ભીડ જોવા મળે છે, જે આ મંદિર પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે. અહીં થતો હવન પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.