રાજકોટમાં ટ્રેનની અડફેટે 2 યુવકના મોત, ભાવનગરમાં વૃદ્ધનો હાથ કપાયો
Rajkot News : ગુજરાતના રાજકોટ અને ભાવનગરમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં ટ્રેનની અડફેટે બે યુવકના મોત નીપજ્યા છે, જ્યારે ભાવનગરના કુંભારવાડામાં ટ્રેનની અડફેટે વૃદ્ધનો હાથ કપાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રેલવે વિભાગ, આજીડેમ પોલીસે મૃતકોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ટ્રેનની અડફેટે બે યુવકના મોત
મળતી માહિતી મુજબ, રાજકોટના કોરાટ ચોક પાસેના ઢુંવા ફાટક નજીક ટ્રેનની અડફેટે સુનિલ મકવાણા અને સૌરભ સોલંકી નામના બે યુવકના કરૂણ મોત નીપજ્યા હતા. બંને યુવકો લોઠડાના પૂઠાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બંને યુવકો રાજકોટના થોરાળા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના દિવસે બંને યુવકો નાઈટ ડ્યુટી પૂરી કરીને સ્કૂટર મારફતે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા દિવસે સવારના સ્થાનિકોને મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે આજીડેમ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકની ઓળખ મેળવીને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સગીર બાળકી પર યુવકે ભુવા જાગરીયા કર્યા હોવાની અંધશ્રદ્ધા ફેલાવતા બે ભુવાઓનો ખોટા આરોપ
કુંભારવાડામાં ટ્રેનની અડફેટે વૃદ્ધનો હાથ કપાયો
ભાવનગરમાં કુંભારવાડામાં બંધ રેલવે ફાટક ક્રોસ કરવાની ઉતાવળમાં એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં કુંભારવાડામાં રેલવે ટ્રેક પર ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં એક વૃદ્ધે ફાટક ક્રોસ કરવાની કોશિશ કરી હતી. જેમાં ટ્રેનની અડફેટે આવી જતાં મહેશભાઈ ગીરજાશંકર શુક્લ નામના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને લઈને સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સથી વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેનની અડફેટે આવતા વૃદ્ધનો હાથ કપાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.