- તા. ૩૧મી સુધી રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશે
- જીટોડિયા રોડ પર 3 ફ્લેટ સહિત વધુ 6 પ્રોપર્ટી સીલ : વસૂલાતથી રૂા. 6.43 કરોડની આવક
આણંદ મહાનગરપાલિકાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસુલાતને ધ્યાને લઈ ટેક્સ શાખાની ટીમે આવક વધારવા ઝૂંબેશ હાથ ધરી છે. આણંદ મહાનગરપાલિકાની દુકાનોના ભાડાની વસુલાત ઉપરાંત ઘરવેરાની વસુલાત અને વ્યવસાય વેરાની વસુલાત મહત્તમ થાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત
આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં બાકી વેરો ના ભરનાર ૧૮ જેટલી કોમશયલ દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં આજે જીટોડીયા રોડ ઉપર આવેલ દેવપ્રિય ઇન્ફા. પ્રાઇવેટ લિમિટેડ, અંશ એકલેવ કોમ્પ્લેક્સની બે દુકાન અને ત્રણ ફ્લેટ બાકી મિલકત વેરાના વસુલાત સંબંધે સીલ કરવામાં આવી છે.આ ઉપરાંત આણંદ વિસ્તારમાં ૩૬૦૦, વિદ્યાનગર વિસ્તારમાં ૩૯૦૦ અને કરમસદ વિસ્તારમાં ૩૦૮ મળીને કુલ ૭૭૦૮ લોકોને વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી છે, અને હજી બાકી રહેલા લોકોને વેરો ભરવાની નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે.
આણંદ મહાનગર પાલિકાની દુકાનોની ભાડાની કુલ આવક છેલ્લા બે મહિનામાં રૂપિયા ૧૭,૧૧,૭૫૪ની થઈ છે.
જ્યારે મિલકત વેરાની આવક આણંદમાં ૩.૬૩ કરોડ ઉપરાંત, વિદ્યાનગરમાં ૩૦.૨૨ લાખ ઉપરાંત, કરમસદ વિસ્તારમાં ૪૩.૩૩ લાખ, લાંભવેલમાં ૧.૪૮ લાખ, ગામડીમાં ૫૪,૮૬૧, મોગરીમાં ૧.૪૭ લાખ અને જીટોડીયામાં ૧.૩૫ લાખ મળીને કુલ ૪.૪૧ કરોડ ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે. દુકાન અને સંસ્થાઓમાંથી લેવામાં આવતા વ્યવસાયવેરાની કુલ આવક ૧.૮૫ કરોડ ઉપરાંતની થઈ છે. છેલ્લા બે મહિનામાં ૬.૪૩ કરોડની વસૂલાત કરવામાં આવી છે. આણંદ મનપા ખાતે તા. ૩૧મી માર્ચ સુધી રજાના દિવસોમાં પણ કચેરીના કામકાજના સમય દરમિયાન મિલકત વેરો ભરી શકાશે.


