પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે

Panchmahal News : પંચમહાલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન કરવા જણાવ્યું છે, જ્યારે આ તમામ જથ્થો જે-તે એજન્સીને પરત મોકલવામાં આવશે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ગત 4 ઑક્ટોબર, 2025ના રોજ 141 ક્વિન્ટલ તુવેરદાળનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સંગ્રહ કરાયેલો દાળનો જથ્થો તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં વિતરણ કરવાનો હતો. જોકે, નિયમ મુજબ ગોડાઉનમાં સ્ટોક કરાયેલ દાળનું અધિકારી દ્વારા સેમ્પલ લઈને ગાંધીનગર સ્થિત ફૂડ રિસર્ચ લેબ (FRL) કચેરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો.
FRL ચેકિંગમાં તુવેર દાળનો નમૂનો ફેલ નીકળ્યો હતો. આ પછી તંત્રએ ગોડાઉનમાંથી આ તુવેર દાળનું વિતરણ ન કરવાની સાથે 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાને જે-તે એજન્સીને પરત મોકલવા જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, સપ્લાયર જોડેથી જે પણ ટ્રકમાં દાળ કે ચણાનો સ્ટોક ગોડાઉન ખાતે FRના સિલ સાથે આવે છે, તે સ્ટોક ગોડાઉનમાં ઉતાર્યા બાદ તેનું સેમ્પલ લઈ FRL કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જો સેમ્પલ પાસ થાય તો તેની બીજી લીગલ ફોર્માલિટી પૂરી કરી સ્ટોક ઇશ્યુ કરવામાં આવે છે. પરંતુ સેમ્પલ ફેઇલ જણાય તો સ્ટોક સપ્લાયર બદલી આપે છે. જેમાં ફેઇલ સ્ટોકનું ઇશ્યુ ગોડાઉન ખાતેથી થતું નથી. રિપ્લેસમેન્ટ આવેલા સ્ટોકનું પણ ફરીથી સેમ્પલ લઈને FRL કચેરીમાં મોકલવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સેમ્પલના રિઝલ્ટના આધારે આગળની કાર્યવાહી કરવાની હોય છે.