ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું
Grain Rot in Gujarat: એક તરફ, ગરીબોને અનાજ મેળવવાના ફાંફા છે. રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો લાગી છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેનાર કોઈ નથી. ગુજરાતમાં જાણે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે. ખુદ કેન્દ્ર અન્ન પુરવઠા મંત્રાલયે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ગોડાઉનોમાં કુલ મળીને 11 હજાર મેટ્રિક ટન અનાજ બગડ્યું છે.
સરકારી ગોડાઉન રામ ભરોસે
સરકારી ગોડાઉનમાં રેશનકાર્ડ ધારકોને અપાતાં અનાજની સાચવણી કરવામાં આવે છે. સરકાર રકાર ભલે ડીંગો હાંકે કે, સરકારી ગોડાઉનો સીસીટીવી, ફાયર સાધનોથી સજ્જ છે પણ વાસ્તવિકતા કઈંક અલગ છે. રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની દેખરેખ હેઠળના સરકારી ગોડાઉન રામ ભરોસે હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે, ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે, વર્ષ 2023-24માં ગુજરાતમાં સરકારી ગોડાઉનોમાં 4322 મેટ્રિક ટન અનાજ બગડ્યું હતું. હજારો ટન અનાજ બગડ્યુ છતાંય ગુજરાત અન્ન પુરવઠા વિભાગે ઘડો લીધો નહીં પરિણામે વધુ અનાજ બગડ્યું હતું. વર્ષ 2024-25માં 6278 ટન અનાજ ખાવાલાયક રહ્યુ ન હતું. કુલ મળીને 10,600 મેટ્રિક ટન અનાજ સરકારી તંત્રની લાપરવાહીને કારણે બગડ્યુ હતું. બગડેલાં અનાજની કિંમત 34.50 કરોડ રૂપિયા થવા જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ અને 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
અનાજની સાચવણીમાં બેદરકારી દાખવવા બદલ દસેક કિસ્સામાં કસૂરવાર કર્મચારી સામે જરુરી કાર્યવાહી કરી સરકારે જાણે સંતોષ માણ્યો છે. વાસ્તવમાં આજે ગુજરાતમાં કેટલાંય સરકારી ગોડાઉનો એવા છે જે જાણે રેઢાં પડ્યાં છે, જર્જરીત અવસ્થામાં છે, ઉંદરોનો ત્રાસ રહ્યો છે. ભારે વરસાદ, વાવાઝોડુ કે પૂર આવે તો સરકારી ગોડાઉનો અનાજને સલામત રાખી શકે તેવા સક્ષમ નથી. આ કારણોસર હજારો ટન અનાજ બગડી જાય છે. ફિંગર પ્રિન્ટ સહિત અનેક ગતકડાં કરીને ગરીબોને મફત અનાજ પણ આપવામાં આવે છે, પરંતુ ગરીબોના અનાજને સાચવવા પુરતા પગલાં લેવાતાં નથી. ટૂંકમાં, કેન્દ્ર સરકારે જ રાજ્ય અન્ન પુરવઠા વિભાગની લાપરવાહી ખુલ્લી પાડી છે.