વડોદરા કોર્પોરેશનમાં એડવાન્સ વેરા વળતર યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તા.15 જૂને પૂરી થઈ છે. આ યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો છે. જેના દ્વારા કોર્પોરેશનને 156.81 કરોડની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં વેરો ભરવા બદલ લોકોને 9.60 કરોડનું વળતર અપાયું છે. 1.77 લાખ લોકોમાંથી 1.28 લાખ લોકોએ ઓનલાઇન અને 49,000 લોકોએ ઓફલાઈન વેરો ભરેલો છે. આ યોજના તા.23 એપ્રિલથી અમલમાં મૂકી હતી.
આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું હતું. ઓનલાઈન વેરો ભરવા બદલ એક ટકો વધુ વળતર આપવાનું હોવાથી લોકોએ તેનો વધુ લાભ લીધો છે. ઓનલાઇન વેરો ભરપાઈ થતાં કોર્પોરેશનને 117.27 કરોડ અને ઓફલાઈન વેરો ભરવા બદલ 39.54 કરોડ આવક થઈ છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે જેની સામે આ યોજના હેઠળ 156.81 કરોડની આવક થઈ છે.