ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી
Surat News: ગુજરાત સરકાર બેકાર રત્નકલાકારો માટે જાહેર કરેલ પેકેજમાં સમ્રગ રાજ્યમાંથી કુલ 1.20 લાખ રત્નકલાકારોના સંતાનો માટે ફી માફીની અરજીઓ આવી છે. આ 1.20 લાખમાંથી ફક્ત સુરત શહેરમાંથી જ 300થી વધુ સ્કૂલોની 78000 વિદ્યાર્થીઓની અરજીઓ આવી છે.
હીરા ઉદ્યોગમાં મંદીને કારણે બેકારી!
હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના માહોલને પગલે રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની હતી. રત્નકલાકારો દ્વારા જીવન ટુંકાવવાના બનાવો વચ્ચે સરકારે લાંબા સમયથી સહાય પેકેજ માટે રજૂઆતો કરવામાં આવી હતી. મોડેમોડે સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્નકલાકારોના સંતાનને 13,500ની મર્યાદામાં એક વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેર કરાઇ હતી.
સુરત સરકીટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, 'સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત સાથે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા એક કમિટીની રચના કરાઈ હતી. કમિટીએ સ્કૂલ ફીમાં માફી મેળવવા મોટ રત્નકલાકારો તરફથી જે તે સ્કૂલમાં અરજી કરવાનું ઠરાવાયું હતું. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. સુરતમાં 78 હજાર રત્નકલાકારોએ 300થી વધુ સ્કૂલોમાં સંતાનોની સ્કૂલ ફી માટે અરજી કરી છે. આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે. ત્યાંથી અરજી ડાયમંડ એસોસિયેશનને મોકલાશે. અહીં સ્ક્રુટીની કરાયા બાદ અરજી ફોર્મને મંજુરી અપાશે. સમગ્ર ગુજરાતમાંથી રત્નકલાકારો તરફથી 1.20 લાખ અરજી આવી છે.'