Goodbye 2019: સુનો ગૌર સે દુનિયાવાલો, સબ સે આગે હૈ હિન્દુસ્તાની...
સુનો ગૌર સે દુનિયાવાલો, બુરી નજર ના હમે પે ડાલો, ચાહે જીતના જોર લગા લો, સબસે આગે હોંગે હિન્દુસ્તાની... દેશનું ગૌરવ નસેનસમાં દોડી જાય તેવું આ ગીત ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમનો દેખાવ જોઈને દરેક ક્રિકેટ ચાહકના હોઠ પર સ્વાભાવિક રીતે જ આવી ચડે. કેપ્ટન કોહલીની આગેવાનની હેઠળની ટીમ ઈન્ડિયાએ ચાલુ વર્ષે શરુ થયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની તમામ ટેસ્ટમેચો જીતવાની સાથે એક પણ ટેસ્ટ ન હારવાનો અનોખો કીતમાન સ્થાપિત કર્યો.
વન ડેમાં વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર આંચકાજનક રહી, પણ ટીમ ઈન્ડિયાએ બાકીની ટુર્નામેન્ટ્સમાં દમદાર દેખાવ કર્યો. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પણ ભારતના દેખાવમાં સુધારો જોવા મળ્યો. કેપ્ટન કોહલી ઉપરાંત રોહિત શર્મા, ધોની, રવિન્દ્ર જાડેજા, મયંક અગ્રવાલ, રહાણે, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ, શમી તેમજ ઈશાંત સહિતના ખેલાડીઓએ યાદગાર પર્ફોમન્સની સાથે ટીમ ઈન્ડિયાને સફળતાના સાતમા આસમાને પહોંચાડયું.
દ્વિપક્ષિય શ્રેણીઓમાં ભારતનું પ્રભુત્વ વર્ષો પહેલા ક્રિકેટ જગત પર જે પ્રકારે વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાનું હતુ, તે પ્રકારનું જોવા મળ્યું. જોકે વોર્નર-સ્મિથની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને વન ડે શ્રેણીમાં ઘરઆંગણે હરાવ્યું, તે ચાહકો માટે આંચકાજનક રહ્યું હતુ. જોકે ઓવરઓલ કોહલીની કેપ્ટન્સીમાં ઈન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જેવી મેજર ટુર્નામેન્ટમાં સોળે કળાએ ખીલી શકી નથી, પણ દ્વિપક્ષિય શ્રેણીઓમાં કમાલ દેખાડતી રહી છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત સળંગ ચાર ટેસ્ટ ઈનિંગ્સથી જીતનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો. વધુમાં ભારતે સળંગ સાત ટેસ્ટની વિજયકૂચ કરતાં કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો. ઘરઆંગણાના મેદાન પર ટેસ્ટમાં ભારતની અજેયકૂચ આગળ વધી. વિન્ડિઝ સામે સતત ત્રણ ટી-૨૦ શ્રેણી જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
હિટ-મેન રોહિતની કારકિર્દી સિદ્ધિના શિખરો તરફ અગ્રેસર
આક્રમક સ્ટ્રોક્સ ફટકારવાની કુશળતાને કારણે હિટ-મન તરીકેની ઉપનામ મેળવનારા ભારતીય ઓપનર રોહિત શર્માની કારકિર્દીમાં ૨૦૧૯નું વર્ષ જાણે તેની પ્રતિભાના નવીનીકરણનું વર્ષ બની રહ્યું હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનારા રોહિત ૨૦૧૯માં સાતત્યભર્યો દેખાવ કરતાં પોતાની પ્રતિભાને અલગ ઊંચાઈએ પહોંચાડવાની સાથે તેની ટેસ્ટ બેટ્સમેન તરીકેની કુશળતાનું પ્રમાણ આપીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી.
રોહિતે આઇસીસી વર્લ્ડ કપમાં ખળભળાટ મચાવતા પાંચ સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેણે એક વર્લ્ડ કપમાં સર્વાધિક સદીના સંગાકારાનો રેકોર્ડ તોડવા સાથે ભારત તરફથી વર્લ્ડ કપમાં ઓવરઓલ સર્વાધિક છ સદી ફટકારવાના તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી.
તેણે વર્લ્ડ કપમાં ૬૪૮ રન ફટકારીને ગોલ્ડનબેટ જીતવાની સિદ્ધિ મેળવનારા ત્રીજા ભારતીય તરીકેનું ગૌરવ મેળવ્યું. ટેસ્ટમાં પહેલી વખત ઓપનિંગમાં ઉતરતા ૧૭૬ રનની તેમજ ૨૧૨ રનની મેરેથોન ઈનિંગ રમીને રેકોર્ડબુકમાં સ્થાન હાંસલ કરી લીધું. તે તેંડુલકર, સેહવાગ અને ગેલ પછીનો એવો પહેલો બેટ્સમેન બન્યો કે, જેણે વન ડે અને ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હોય. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૦૦ સિક્સરના માઈલસ્ટોનને પણ પાર કર્યો.
ટીમ ઈન્ડિયાના 'વિરાટ' કેપ્ટનના મેજીકલ માઈલસ્ટોન
વર્તમાન ક્રિકેટ જગતમાં નિવવાદ રીતે નંબર વન બેટ્સમેન તરીકેનો દબદબો ધરાવતા કોહલી માટે ૨૦૧૯નું વર્ષ સ્વર્ણમયી સિદ્ધિઓ સાથે પસાર થયું. કોહલી આઇસીસી વર્લ્ડ કપમાં સતત પાંચ મેચમાં અડધી સદી ફટકારનારો વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો. ભારતીય ટેસ્ટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન તરીકેનો તાજ કોહલીએ ધોની પાસેથી આંચકી લીધો છે.
કોહલીની કેપ્ટન્સીમાં ભારત ૩૩ ટેસ્ટ જીતી ચૂક્યું છે, જે રેકોર્ડ પહેલા ધોનીના નામે હતો, જેણે ભારતને ૨૭ ટેસ્ટમાં વિજય અપાવ્યો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે સતત સાત ટેસ્ટ જીતીને ધોનીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. કોહલી સાત બેવડી સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય બન્યો હતો, સાથે સાથે તેણે બાંગ્લાદેશ સામેની ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારતાં ૭૦ ઈન્ટરનેશનલ સદીના માઈલસ્ટોનને હાંસલ કર્યો હતો.
ટેસ્ટ કેપ્ટન તરીકે નવમી વખત ૧૫૦થી વધુનો સ્કોર કરીને તેણે બ્રેડમેનને પાછળ રાખી દીધા હતા. ટ્વેન્ટી-૨૦માં પણ સર્વાધિક રન ફટકારવામાં તે અને રોહિત શર્મા સંયુક્તપણે નંબર વન છે. આ ઉપરાંત પણ કોહલીએ અનેકાનેક નાના-મોટા રેકોર્ડ્ઝ અને સિદ્ધિઓ પોતાના નામે કરી લીધા છે.
હવે આવનારુ વર્ષ કોહલી માટે નવી સિદ્ધિઓનું અજવાળું લઈને આવશે તેવી આશા ભારતીય ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે.
એક સમયે ટી-૨૦ બોલર તરીકેની ઓળખ ધરાવતા બુમરાહે વિન્ડિઝ પ્રવાસમાં યજમાનો સામેની એન્ટીગા ટેસ્ટમાં માત્ર ૭ રનમાં પાંચ વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડમાં ખેલાયેલા વન ડે વર્લ્ડ કપમાં તેણે ૯ મેચમાં ૧૮ વિકેટ ઝડપતાં ટીમ ઓફ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું. સાઉથ આફ્રિકા સામેની શ્રેણી અગાઉ પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થતાં તેને ફરજીયાત આરામ પર જવું પડયું. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારે શાનદાર દેખાવ કરતાં ભારતીય ક્રિકેટમાં નવું સુવર્ણ પ્રકરણ ઊમેર્યું. છેલ્લા ૬૭ વર્ષમાં ભારતીય ફાસ્ટોનો આ શ્રેષ્ઠ દેખાવ હતો.
બુમરાહનો પાવરપંચ ફાસ્ટરોનો ઝંઝાવાત
એક સમયે ટી-૨૦ બોલર તરીકેની ઓળખ ધરાવતા બુમરાહે વિન્ડિઝ પ્રવાસમાં યજમાનો સામેની એન્ટીગા ટેસ્ટમાં માત્ર ૭ રનમાં પાંચ વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડમાં ખેલાયેલા વન ડે વર્લ્ડ કપમાં તેણે ૯ મેચમાં ૧૮ વિકેટ ઝડપતાં ટીમ ઓફ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું. સાઉથ આફ્રિકા સામેની શ્રેણી અગાઉ પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થતાં તેને ફરજીયાત આરામ પર જવું પડયું. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારે શાનદાર દેખાવ કરતાં ભારતીય ક્રિકેટમાં નવું સુવર્ણ પ્રકરણ ઊમેર્યું. છેલ્લા ૬૭ વર્ષમાં ભારતીય ફાસ્ટોનો આ શ્રેષ્ઠ દેખાવ હતો.
ગાંગુલી BCCIનો નવો બોસ વિનોદ રાયની કમિટિની વિદાય
લોઢા સમિતિની ભલામણો અનુસારના બંધારણને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિમેલી વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના ૩૩ વર્ષના કાર્યકાળનો ચાલુ વર્ષે અંત આવ્યો હતો. ઓક્ટોબર, ૨૦૧૯માં બીસીસીઆઈના નવા બંધારણ પ્રમાણેની ચૂંટણીમાં તમામ પાંચેય હોદ્દેદારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. બોર્ડના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ સત્તા સંભાળી હતી. જ્યારે સેક્રેટરી તરીકે જય અમીત શાહ, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે માહિમ વર્મા, ટ્રેઝરર તરીકે અરુણ સિંઘ ધુમલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે જયેસ જ્યોર્જે કામગીરી સંભાળી લીધી હતી.
રાહુલ અને હાર્દિકના ટીવી શૉથી વિવાદનો વંટોળ
ભારતીય ટીમના યુવા ક્રિકેટરોએ કે. એલ. રાહુલ અને હાદક પંડયાએ એક ટીવી શોમાં કરેલી કોમેન્ટ્સને કારણે વિવાદનો વંટોળ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે બંને યુવા ખેલાડીઓની સામે પગલાં લીધા હતા અને તેમને કેટલોક સમય ક્રિકેટથી દૂર રહેવું પડયું હતુ. જોકે, બીસીસીઆઇની સજા પુરી થયા બાદ તેમણે પુનરાગમન કર્યું હતુ. હાદકને ત્યાર બાદ પીઠની ઈજા પરેશાન કરતી રહી હતી, જેના કારણે તેણે સર્જરી પણ કરાવી હતી.
વર્લ્ડ કપ ફાઈનલમાં ડબલ ટાઈના હાઈડ્રામા બાદ ઈંગ્લેન્ડ ચેમ્પિયન
આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલમાં હાઈડ્રામા જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ નાટકીય ઢબે ટાઈમાં પરીણમી હતી અને ત્યાર બાદ સુપર ઓવર પણ ટાઈ રહેતા. આખરે મેચમાં જે ટીમે સૌથી વધુ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હોઈ તે વિજેતા, તેવા આધારે નિર્ણય લેવાયો હતો અને તેમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હતુ. અનોખા નિયમને કારણે વર્લ્ડ કપ ગૂમાવવા છતાં ન્યૂઝીલેન્ડે દર્શાવેલી લડાયક રમત અને ખેલદિલીની સરાહના થઈ હતી.
એક સળગતો સવાલ ધુરંધર ક્રિકેટર અને આર્મીમેન ધોનીની વિદાય ક્યારે ?
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુપરસ્ટાર અને વિશ્વના મહાન કેપ્ટન્સમાં સ્થાન ધરાવતા ધોનીની કારકિર્દી હવે અસ્તાચળે પહોંચી ચૂકી છે. વિકેટકિપિંગ અને મીડલ ઓર્ડરના આધારભૂત બેટ્સમેન તરીકે ધોનીએ વર્ષોવર્ષ ટીમ ઈન્ડિયામાં યોગદાન આપ્યું છે. આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પણ ન્યૂઝીલેન્ડ સામે ભારતની ડૂબતી નૌકામાંથી જ્યારે મોટાભાગના દિગ્ગજો કૂદી ગયા હતા, ત્યારે રવિન્દ્ર જાડેજા સાથે રહીને ધોનીએ તેને કિનારે પહોંચાડવા જોરદાર સંઘર્ષ કર્યો હતો. જોકે, તેમાં તેને સફળતા મળી શકી નહતી.
ત્યાર બાદ ધોનીને જાણે સાવ સાઈડલાઈન કરી દેવાયો, પસંદગીકારોએ યુવાનોને તક આપવાનું કારણ ધરી અનુભવને એક કોરે મૂકી દીધો. ધોનીએ સિફતપૂર્વક થોડો સમય આર્મીની જવાબદારી સંભાળી અને જાતે જ ક્રિકેટમાંથી અવકાશ લેવાની જાહેરાત કરી દીધી. આજે પણ ભારતીય ક્રિકેટમાં ધોનીની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે, છતાં કોઈ તેને પાછો બોલાવવાની હિંમત કરતું નથી. આગામી વર્ષે તે કોઈ મોટી જાહેરાત કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વોર્નર-સ્મિથનું પુનરાગમન
બોલ ટેમ્પરિંગના કૌભાંડમાં સંડોવણી બદલ એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ક્રિકેટરો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ૨૦૧૯માં પુનરાગમન કર્યું હતુ. વોર્નરે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યા બાદ પાકિસ્તાન સામે ૩૩૫* ના સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા તરફથી સેકન્ડ હાઈએસ્ટ ટેસ્ટ સ્કોર કર્યો હતો. જ્યારે સ્મિથે વન ડેના વર્લ્ડ કપ બાદ એશિઝમાં સદીઓ ફટકારતાં ફરી શ્રેષ્ઠતા પૂરવાર કરી હતી.