સોમનાથ દર્શન માટે પાસ મેળવવા 4 વિન્ડો કાર્યરત
- જૂના પથિકાશ્રમ મેદાનમાં આયોજન
- ઓનલાઇન બુકિંગ ઉપરાંત સ્થાનિકે પણ ભાવિકો દર્શન માટે પાસ મેળવી શકશે
પ્રભાસપાટણ, તા. 25 જુલાઈ, 2020, શનિવાર
સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે શ્રાવણ માસમાં આવનાર ભાવિકો કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શનકરવા પ્રવેશ માટે પાસ પ્રથા આજથી અમલી બની છે. આ માટે મંદિર સામેના જૂના પથિકાશ્રમ મેદાનમાં ખાસ ૪ વિન્ડો ખોલવામાં આવી છે. લોકો સોશ્યલ ડીસ્ટન્શન જાળવી પાસ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ કાર્યરત થઇ છે. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરે તથા સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષકે આજે વહેલી સવારના પાંચ વાગ્યાથી જ ખડેપગે રહી પાસ વિતરણ વ્યવસ્થા નિરીક્ષણ કર્યું હતું.
આ બુકીંગ કચેરીમાં સવારે ૪ વિન્ડો અને બપોરે બે વિન્ડો ખુલશે. જરૃર જણાયે વધારો પણ કરાશે. જે લોકોએ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીપ અથવા મોબાઇલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન માટે પ્રવેશ મેળવી શકશે.
પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ - અલગ રહેશે એટલું જ નહીં અડધો - અડધો કલાકના સ્લોટમાં એ પાસમાં તારીખ અને સમય પણ લખાયો હશે અને ફેમીલી હોય તો એક પાસમાં પાંચ વધુમાં વદુ વ્યકિત દર્શન પાસ મેળવી શકે છે. જે લોકો બહાર ગામના હોય અને ઓનલાઇન બુકીંગ ન કરાવ્યું હોય તે લોકો સ્થાનિકેથી પાસ મેળવી શકશે. સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહમાં ઉતરેલા ભાવિકો અતિથીગૃહ બુકીંગ ઓફિસ ખાતેથી પણ બીજા દિવસના દર્શનનો પાસ મેળવી શકશે. બુકીંગ કચેરીના મેનેજમેન્ટ માટે બે સીફટમાં સુપરવાઇઝરો ટીમો ગોઠવાઇ છે. આજે સવારે પાંચ વાગ્યે આ પાસ પ્રથાનો પ્રથમ પાસ સોનારીયાના ભાવિકે મેળવી દર્શન કરનાર પ્રથમ પાસ ધારક રહ્યા હતા.