કોરોના સંક્રમિત લોકોને અમદાવાદથી લાવનારા બે ડ્રાઈવર દીવથી ઝડપાયા
- બંને સામે જાહેરનામા ભંગનો ગુન્હો દર્જ કરી ઉનાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડાયા
- ઉનાના બે ડ્રાઈવર દીવ ખાતે મુસાફરોની હેરાફેરી કરતી વખતે ઝડપી લઈ ઉના પોલીસે અટકાયત કરી બંને સામે જાહેરનામા ભંગનો ગુનોદર્જ
ઉના, તા.11 મે, 2020, સોમવાર
કોડીનાર તથા બોડીદર ગામના કોરોના સંક્રમિત લોકોને અમદાવાદથી કોડીનાર લાવનારા કારના ઉનાના બે ડ્રાઈવર દીવ ખાતે મુસાફરોની હેરાફેરી કરતી વખતે ઝડપી લઈ ઉના પોલીસે અટકાયત કરી બંને સામે જાહેરનામા ભંગનો ગુનો દર્જ કરી બંનેને ઉનાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડયા હતા. બંનેના સેમ્પલ લઈ કોરોનાના રીપોર્ટ કરાવાતા નેગેટીવ આવ્યા છે.
અમદાવાદથી ઇનોવા કારમાં ૯ વ્યક્તિઓને લઈ કોડીનાર તથા ગીરગઢડાના બોડીદર ગામે ઉનાનો ડ્રાઈવર મૂકીને ચાલ્યો ગયો હોત. આ પૈકી પ્રથમ એક અને ત્યારબાદ પાંચ વ્યક્તિઓના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવતા આ કાર ચાલકનો તંત્રએ સંપર્ક કરતા કાર ચાલકે પોતે મુસાફરોને લઈ મુંબઈ જવા નિકળી ગયાની ખોટી વિગતો તંત્રને જણાવી હતી.
દરમિયાન કારના આ બે ડ્રાઈવર ઝૂબેરભાઈ અબ્બાસભાઈ ચાવડા (ઉ.વ.૩૮) (રહે. ખોજા ખાનાની બાજુમાં, ઉના) તથા મહેબુબભાઈ દાદાભાઈ જમશેઠ (રહે. ઉપલા રહીમનગર-ઉના) ગઈકાલે દીવથી મુસાફરો ભરીને નિકળતા હોઈ દીવ ચેકપોસ્ટે ચેકિંગ કરતા એનું ટેમ્પરેચર વધુ આવતા દીવ પોલીસે ઉના પોલીસને જાણ કરતા ઉના પોલીસ સ્ટાફે ત્યાં જઈ બંનેની પુછપરછ કરતા તેઓ અમદાવાદથી કોડીનાર, બોડીદરના લોકોને કારમાં લઈ આવ્યા હોવાનું ખુલતા બંનેની અટકાયત કરી હતી. તથા બંને સેમા જાહેરનામા ભંગનો ગુનો દર્જ કરી ઉનાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડી બંનેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે. જો કે બંનેના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.