શાર્પશુટરો સાથે 200ની ફોજ ગામડાં ખૂંદે છે, પણ પકડાઈ માત્ર એક દીપડી
- માનવભક્ષી દીપડો હજુ ખુલ્લામાં ફરે છે
- કાગદડીની સીમમાંથી પકડાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ તે માટે મળ, નખ સહતિનું લેબ. પરીક્ષણ કરવામાં આવશે
વિસાવદર તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર
બગસરા પંથકમાં લોહી તરસ્યા દીપડાએ આતંક મચાવી દીધા બાદ વનવિભાગે શૂટ એન્ડ સાઈટના ઓર્ડર આપ્યા છે. જેથી બગસરા પંથકમાં વનવિભાગ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આદમખોર દીપડાને શોધવા માટે ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા પોલીસ અને વન વિભાગના મળી ત્રણ સીસીએફ, ચાર ડીસીએફ સહિત ૨૦૦ લોકોની ફૌજ છ દિવસથી ગામડાઓ ખુંદે છે ત્યારે કાગદડીની સીમમાંથી ગત મોડીરાત્રીના એક દીપડી પાંજરે પુરાઇ છે અને તે માનવ ભક્ષી છે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉઠયા છે
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મુંજીયાસર, બગસરામાં બે વ્યક્તિને ફાડી ખાનાર અને હુમલો કરનાર દીપડો ખૂબ મોટો હોવાનો નજરે જોનારા લોકો જણાવી રહ્યાં છે. ગતરાત્રીના કાગદડી ની સીમમાંથી જે દીપડી પકડાઈ છે તે નાની છે. જેથી આ દીપડી માનવભક્ષી હોય તેવું સ્થાનિક લોકો માનવા તૈયાર નથી. પકડાયેલ દીપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે ત્યાં તેના મળ નખ સહિતના અંગો ની તપાસ કરવામાં આવશે ત્યારબાદ તે માનવ ભક્ષી હશે તો વનવિભાગ તેને આજીવન કેદ કરશે પરંતુ હજુ સુધી આ દીપડી માનવભક્ષી છે તેવું વનવિભાગ પણ સત્તાવાર રીતે કહેવા તૈયાર નથી અને સ્થાનિક લોકો પણ આ દીપડીને માનવભક્ષી છે તેવું માનવા તૈયાર નથી
માનવભક્ષી દીપડાને પકડવા ૧૪૪ની કલમ લાગુ કરી ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ સીમવિસ્તાર વન વગડો બની ગયા છતાં પણ માત્ર એક જ દીપડી પકડાતા આશ્ચર્ય સર્જાયુ છે. બગસરા પંથકમાં હજુ પણ વનવિભાગ અને પોલીસ નું દીપડાઓને પકડવા માટે નું ઓપરેશન યથાવત જ છે હવે આજથી વિસાવદરના ગામડાઓ કાંકચીયાળા ભટવાવડી ભલગામમાં વિસાવદર પોલીસને સાથે રાખી પાંજરા ગોઠવી દિપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ આટ આટલા દિવસની મહેનત બાદ વન વિભાગે એક પણ દીપડા પર ફાયરિંગ કરવાની કે બેભાન કરવાની તસ્દી પણ લીધી નથી તેને લઇ શૂટ એટ સાઇટ ના ઓર્ડર પર અનેક સવાલો સ્થાનિક લોકોમાં ઊઠી રહ્યા છે
કાગદડીમાંથી પકડાયેલી દીપડી અંગે વિસાવદરના ધારાસભ્ય એ સવાલો ઉઠાવ્યા હતા કે એક ગામમાં બે બે થી વધુ દિપડા જોવા મળે છે જેથી પાંજરા મુકો એટલે દીપડી તો પકડાઈ છે ત્યારે હજુ માનવભક્ષી દીપડા પકડવાના બાકી છે જેથી માંગ છે કે તમામ દીપડાઓને જંગલમાં લઈ જવામાં આવે અને ૧૪૪મી કલમ હટાવી ખેડૂતોને ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવે છે.