Yamla Pagla Deewana Re-Release Date: 24 નવેમ્બર, 2025ના રોજ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવાર અને ચાહકો હજુ પણ આઘાતમાં છે. તેમના યોગદાનની યાદમાં તેમની હિટ ફિલ્મ 'યમલા પગલા દીવાના' ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ધર્મેન્દ્રના ચાહકો માટે એક ખુશીના સમાચાર છે. તેમના ચાહકો ફરી એકવાર આ ફિલ્મ થિયેટરોમાં અનુભવી શકશે.
2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળ્યા હતા. જેને લઈને આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ એ જ જાદુ બતાવ્યો જે તેમણે હંમેશા દર્શકોને આપ્યો હતો. તેમની એક્શન-કોમેડી શૈલી અને ત્રણેયની અદ્ભુત કેમિસ્ટ્રીએ ફિલ્મને યાદગાર બનાવી દીધી.
ફિલ્મ ક્યારે રિ-રિલીઝ થશે?
સૂત્રોને ટાંકીને બોલિવૂડ હંગામાના એક અહેવાલમાં જણાવાયું છે કે દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની યાદમાં તેમની 14 વર્ષ જૂની ફિલ્મ "યમલા પગલા દીવાના" દર્શકો સમક્ષ પાછી લાવવામાં આવશે. તે 1 જાન્યુઆરી, 2026 નવા વર્ષના દિવસે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવાની આ એક સુંદર રીત છે.
'ધુરંધર'ની સફળતા રિ-રિલીઝમાં બની અવરોધ
"યમલા પગલા દીવાના" નું દિગ્દર્શન સમીર કર્ણિક દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, કંપની આ ફિલ્મ 19 ડિસેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી રહી હતી. જોકે, રણવીર સિંહની "ધુરંધર" ની સફળતાને કારણે રિલીઝ તારીખ બદલવામાં આવી હતી. હવે, કંપનીએ તેને નવા વર્ષના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મનું બજેટ અને કમાણી
"યમલા પગલા દીવાના" 2011 ની સુપરહિટ ફિલ્મ હતી. તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને રમૂજી અને પારિવારિક મનોરંજન માટે પસંદ કરાઈ હતી. તે બોક્સ ઓફિસ પર સફળ રહી. SACNILC અનુસાર, આ ફિલ્મ ₹28 કરોડમાં બનાવવામાં આવી હતી. તેણે વિશ્વભરમાં ₹88.55 કરોડની કમાણી કરી હતી.


