અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ રોકવા માટે અપાઈ હતી રૂ.8 કરોડની લાંચ? ડાયરેક્ટરે કરી સ્પષ્ટતા
Bollywood News: ઉમેશ શુક્લાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઓહ માય ગોડ (OMG)અને રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ પીકે (PK)ને હિન્દી સિનેમાની સફળ ફિલ્મોમાં ગણાય છે. જોકે, એ સમયે PKને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે આ ફિલ્મ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ફિલ્મની તુલના અક્ષય કુમારની ફિલ્મ OMG સાથે પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એવી પણ અફવાઓ ચલાવવામાં આવી હતી કે આમિર અને વિધુ વિનોદે OMGના દિગ્દર્શકને 8 કરોડ રૂપિયા લાંચ આપી હતી અને તેમની ફિલ્મની રિલીઝ અટકાવવા કહ્યું હતું. હવે હાલમાં જ ઉમેશે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
સમાનતા હોવી સ્વાભાવિક છે: ઉમેશ
ઉલ્લેખનીય છે કે, ઉમેશે OMG ફિલ્મની વાર્તા લખી હતી. આ સ્ટોરી પર નાટકો બનતા હતા. જેને પીકેની ટીમે પણ જોયા હતા. આ અંગે ઉમેશે કહ્યું, 'રાજકુમાર, વિધુ અને લેખક અભિજાત જોશીએ મારું નાટક જોયું હતું. જ્યારે કોઈ એક જ વિષય પર કામ કરે છે, તો તેમાં સમાનતા જોવા મળવી તે સ્વાભાવિક છે. જો તમે કોઈ લવ સ્ટોરી પર ફિલ્મ બનાવી રહ્યા છો અને તેમાં કોઈને કોઈ તો કહે કે, 'આઈ લવ યુ'. કારણ કે તે એક લવ સ્ટોરી છે.'
ફિલ્મ ન બનાવવા બદલ લાંચ મળી?
ફિલ્મ ડાયરેક્ટર ઉમેશે એમ પણ કહ્યું કે, એ સમયે એવી પણ અફવાઓ ચાલી હતી કે વિધુ વિનોદ ચોપરાએ મને 8 કરોડ રૂપિયા આપ્યા હતા, જેથી હું ફિલ્મ OMG ન બનાવું. પરંતુ આ બધી માત્ર એક અફવા હતી. હકીકતમાં આવું કંઈ થયું જ નહોતું. વિધુ-રાજકુમાર-આમિર દરેક ટેલેન્ટેડ લોકો છે. તેઓ ક્યારેય એવા કામ કરતા નથી કે તેઓ કોઈને પૈસા આપીને ફિલ્મ બંધ કરાવી દે. ખરેખર આવું કંઈ બન્યું જ નહોતું.
શું હતી બંને ફિલ્મોની સ્ટોરી
હકીકતમાં અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ OMGમાં નાસ્તિક વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી હતી. ભૂકંપમાં પોતાની દુકાન નાશ પામ્યા પછી જે ભગવાન સામે કેસ દાખલ કરે છે. જ્યારે પીકેમાં આમિર ખાને બીજી દુનિયાના એલિયન તરીકેની ભૂમિકા ભજવી હતી. તે ભારતમાં ધર્મના નામે ચાલી રહેલા ધંધાને ઉજાગર કરે છે.