કાંતારાની શૂટિંગ દરમિયાન ફરી દુર્ઘટના: ઋષભ શેટ્ટી સહિત 30 ક્રૂ મેમ્બર્સને લઈ જતી બોટ પલટી, જાનહાનિ ટળી
Kantara Chapter 1 : સાઉથ સુપર સ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ના મેકર્સ હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સતત કોઈને કોઈ દુર્ઘટના બનતી રહે છે. હાલમાં જ શૂટિંગ દરમિયાન જ એક્ટર કલાભવન નીજૂનું નિધન થયું છે. તો હવે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિપોર્ટ પ્રમાણે 30 ક્રૂ મેમ્બર સવાર હતા.
દુર્ઘટનામાં તમામ લોકો સુરક્ષિત: પોલીસ
આ દુર્ઘટના શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે વિસ્તારમાં આવેલા મણિ જળાશયમાં બની હતી. જો કે પોલીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં તમામ લોકો સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી.
દુર્ઘટનામાં મોંઘા કેમેરા તેમજ સાધનો પાણીમાં ડુબ્યા
કાંતારાની સફળતા બાદ ફિલ્મ ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ બનાવવાની મંજૂરી લીધી હતી. પરંતું મે મહિનામાંથી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈને કોઈ દુર્ઘટના બનતી જોવા મળી રહી છે. બોટ પલટી જવાની આ દુર્ઘટનામાં ભલે કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ, પરંતુ આ દરમિયાન મોંઘા કેમેરા અને અન્ય મોંઘો સામાન પાણીમાં ડુબી ગયો છે. પોલીસે હાલમાં આ દુર્ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.
સાઉથ કન્નડની આત્માઓ પર ફિલ્મ બનાવવી હંમેશા જોખમી
મીડિયા સાથે વાત કરતાં રામદાસ પુજારીએ કહ્યું કે, સાઉથ કન્નડની આત્માઓ પર ફિલ્મ બનાવવી હંમેશા જોખમી રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, ત્યાંના આત્માઓ તેમની પ્રવૃત્તિઓનું વ્યાપારીકરણ કરવાનું પસંદ નથી કરતી. પરંતુ ઋષભ શેટ્ટીએ આ ફિલ્મનું શૂટિંગ કરતા પહેલા દેવતાની પૂજા પણ કરી હતી અને તેમણે આ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી પણ લીધી હતી.