કનૈયાલાલ હત્યા કેસ પર આધારિત 'ઉદયપુર ફાઈલ્સ'ને મળી લીલીઝંડી, હવે આ તારીખે થશે રિલીઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Udaipur Files Release Date: ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ને લઈને ચાલી રહેલા લાંબા વિવાદ બાદ હવે ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે. ફિલ્મના વિરોધની દલીલોને માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફગાવી દીધી છે. મંત્રાલયે ફિલ્મ પર લાગેલી રોકને પણ હટાવી દીધી છે. હવે લાંબા સમયથી જે ફિલ્મની રિલીઝ અંગે ચર્ચા ચાલી રહી હતી, તે હવે 8 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો હતો વિવાદ
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી ઘણો વિવાદ થયો હતો. પહેલા આ ફિલ્મને 11મી જુલાઈએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ હવે કેટલાક ધાર્મિક સંગઠનો અને આરોપીએ આ ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓનો આરોપ હતો કે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' મુસ્લિમ સમુદાયને બદનામ કરે છે. આ ફિલ્મથી કન્હૈયાલાલના આરોપીને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં મોટી અસર પડી શકે છે. દિલ્હી હાઇકોર્ટે આ કેસની ગંભીરતા જોઈને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે આ ફિલ્મની ફરીવાર સમીક્ષા કરે. ત્યારબાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી અને ફિલ્મમાં 55 કાપ મૂકવાનું સૂચન કર્યું. નિર્માતાઓ આ ફેરફારો માટે સમંત થયા.
55 કટ પછી ફિલ્મને મળી મંજૂરી
માહિતી અને પ્રસારણ મંત્રાલયે હાલમાં જ એક આદેશ જાહેર કરી સ્પષ્ટ કર્યું કે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ નિર્ધારિત પ્રક્રિયા મુજબ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ફિલ્મમાં નિર્માતાએ વધારાના કાપ પણ મૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કે કોઈ વધુ ફેરફાર કરવાનું કોઈ નક્કર કારણ નથી, તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
ફિલ્મના નિર્માતાએ વીડિયો પોસ્ટ કરી આપ્યો મેસેજ
હવે જ્યારે ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે તો નિર્માતા અમિત જાનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી અને લોકોને વિનંતી કરી છે કે તેઓ પોતે ફિલ્મ જોઈને નક્કી કરે કે તેમાં શું ખોટું છે. તેણે કહ્યું, 'અમે ફિલ્મને શક્ય તેટલું સંતુલિત અને સંવેદનશીલ રીતે રજૂ કરી છે. અમારો ઉદ્દેશ કોઈ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાની નથી, પરંતુ એક ઘટનાને દર્શાવવાનો છે.'









