Bollywood News : બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ‘હી-મેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્ર 24 નવેમ્બરે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ચૂક્યા છે. પરિવારજનોએ આજે સવારે (3 ડિસેમ્બર) કડક સુરક્ષા વચ્ચે હરિદ્વારના ગંગા નદીમાં વિધિ-વિધાન સાથે સ્વર્ગસ્થ અભિનેતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ દરમિયાન સની દેઓલ, બોબી દેઓલ અને પૌત્ર કરણ દેઓલ સહિત પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. અસ્થિ વિસર્જન દરમિયાન સમગ્ર પરિવાર અત્યંત ભાવુક જોવા મળ્યો હતો.
પૌત્ર કરણ દેઓલ અસ્થિઓનું વિસર્જન કર્યું
દેઓલ પરિવાર હરિદ્વારમાં ગંગા કિનારે આવેલી 100 વર્ષ જૂની હવેલી ‘પિલિભીત હાઉસ’ પહોંચ્યો હતો. વિસર્જનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં દેઓલ પરિવારના સભ્યો સફેદ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. પૌત્ર કરણ દેઓલ અસ્થિઓને નદીમાં વિસર્જિત કરતા દેખાયા હતા, જ્યારે સની અને બોબી દેઓલ કરણને ભેટીને સાંત્વના આપી રહ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો એકબીજાને ગળે મળીને પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
ધર્મેન્દ્રની 24 નવેમ્બરે થયું હતું નિધન
24 નવેમ્બરના રોજ 89 વર્ષના ધર્મેન્દ્રનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું. મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ થયા બાદ દેઓલ પરિવાર તરત જ એરપોર્ટ જવા રવાના થઈ ગયો હતો.


