'મહાભારતના સેટ પર તે બીજા સૌથી હેન્ડસમ વ્યક્તિ હતા', રૂપા ગાંગુલી પંકજ ધીરને યાદ કરી રડી પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Roopa Ganguly on Pankaj Dheer: દૂરદર્શનની ટીવી સીરિયલ 'મહાભારત'માં દ્રૌપદીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી રૂપા ગાંગુલી, તેના સહ-કલાકાર અને મહાભારતના કર્ણ પંકજ ધીરના નિધનના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગઈ. અભિનેત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, 'તેઓ આટલી નાની ઉંમરે અમને છોડીને ચાલ્યા ગયા, તે વાત પર મને વિશ્વાસ નથી આવતો. આ સાંભળીને હું ખૂબ દુઃખી છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી.'
મહાભારતના કર્ણનું કેન્સરથી અવસાન: સહકલાકાર રૂપા ગાંગુલી દુઃખી
સૂત્રોના મતે, મહાભારતના કર્ણ એટલે કે પંકજ ધીરનું નિધન કેન્સરના કારણે થયું. જ્યારે રૂપા ગાંગુલીને આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, 'મને પંકજની બીમારી વિશે સહેજ પણ જાણ નહોતી. અમે લગભગ એક વર્ષ પહેલાં ટેક્સ્ટ મેસેજ દ્વારા વાત કરી હતી, પણ તેમણે ક્યારેય તેમની બીમારીનો ઉલ્લેખ મારી પાસે કર્યો નહોતો.' આ વાત કહેતાં જ રૂપાની આંખોમાં આંસુ આવી ગયા હતા.
નીતિશ ભારદ્વાજ પછી પંકજ ધીર સૌથી હેન્ડસમ હતા: રૂપા ગાંગુલી
એક ઇન્ટરવ્યૂમાં રૂપા ગાંગુલીએ કહ્યું કે, 'નીતિશ ભારદ્વાજ પછી, પંકજ ધીર મહાભારતના સેટ પરના સૌથી હેન્ડસમ વ્યક્તિ હતા. હું તેમને 'મારા સૌથી હેન્ડસમ મિત્ર' કહીને મેસેજ મોકલતી. તેઓ જાણતા હતા કે લોકો તેમને હેન્ડસમ કહે છે, તેમ છતાં તેઓ ખૂબ જ સંવેદનશીલ, શાલીન અને શાંત સ્વભાવના સજ્જન હતા. પુનીત ઇસ્સર (દુર્યોધન) અને ફિરોઝ ખાન (અર્જુન) થોડા મસ્તીખોર (ચુલબુલા) હતા, પણ પંકજ હંમેશા ગંભીર વ્યક્તિ રહ્યા.'
રૂપાએ યાદ કર્યા જૂના પળો
પંકજ ધીરને છેલ્લે ક્યારે મળ્યા હતા તે પ્રશ્નના જવાબમાં રૂપા ગાંગુલીએ કહ્યું કે, 'ઘણા વર્ષો વીતી ગયા છે. મુંબઈ જતી ત્યારે હું પંકજને જાણ કરતી, એકવાર તેઓ મળવા આવ્યા હતા, પણ બીજીવાર આવી શક્યા નહોતા. જોકે, અમે ટેક્સ્ટ મેસેજથી વાત કરતા રહેતા.'
રૂપા ગાંગુલીએ મૂછો ન કાપવા બદલ પંકજ ધીરને બી. આર. ચોપરા દ્વારા શોમાંથી કાઢી મૂકવાની ધમકીના કિસ્સા પણ સાંભળ્યા હોવાનું જણાવ્યું. તેમણે સ્પષ્ટતા કરી કે, 'આ કિસ્સા મેં સાંભળ્યા છે, પણ દ્રૌપદીનું પાત્ર પછીથી આવ્યું હોવાથી અમારી આ અંગે વાત થઈ નહોતી.'
ટીવી જગતમાં શોક
'મહાભારત' ઉપરાંત પંકજ ધીરે 'ચંદ્રકાંતા'માં રાજા શિવદત્તનું દમદાર પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેમને ઘેર ઘેર નવી ઓળખ મળી. હાલના વર્ષોમાં તે 'તીન બહૂરાનિયાં', 'રાજા કી આયેગી બારાત', 'રંગ બદલતી ઓઢની' અને 'સસુરાલ સિમર કા' જેવા સીરિયલોમાં પણ જોવા મળ્યા હતા. તેમના નિધનથી સમગ્ર ટેલિવિઝન જગતમાં શોક છવાઈ ગયો છે.









