સ્ક્રિપ્ટમાં વાંધા પડતાં રણવીર સિંહે રાક્ષસ ફિલ્મ છોડી દીધી
Updated: May 22nd, 2024
- હવે ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિતે
- લોકપ્રિય નિવડેલી હનુમાન ફિલ્મના સર્જક પ્રશાંત વર્મા આ ફિલ્મ બનાવવાના હતા
મુંબઈ : રણવીર સિંહે 'રાક્ષસ' ફિલ્મ છોડી દીધી છે. તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં વાંધો પડયો હોવાનું કહેવાય છે.
હનુમાન ફિલ્મના સર્જક પ્રશાંત વર્મા આ ફિલ્મ બનાવવાના હતા. તેમણે રણવીરનો મુખ્ય રોલ માટે એપ્રોચ કર્યો હતો અને તેને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. રણવીરને આ રોલ પસંદ પડયો હતો અને તેણે ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.
જોકે, ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થાય તે પહેલાં સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપવા બાબતે રણવીર અને પ્રશાંત વચ્ચે વારંવાર બેઠકો થઈ હતી. તે વખતે બંને વચ્ચે અનેક મતભેદો ઉભરી આવ્યા હતા. છેવટે બંનેએ આ પ્રોજેક્ટ પડતો મૂકી દેવાનું નક્કી કર્યું હતું.
જોકે, રણવીર આ પ્રોજેક્ટમાંથી નીકળી જતાં હવે પ્રશાંત વર્મા અન્ય કલાકારને લઈને ફિલ્મ બનાવશે કે પછી આ પ્રોજેક્ટ હાલ પૂરતો મુલત્વી કરી દેશે તે અંગે અટકળો સેવાય છે.
રણવીરની સંખ્યાબંધ ફિલ્મો પર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલાં છે. ફરહાન અખ્તરે રણવીરને લઈ 'ડોન થ્રી' બનાવવાની જાહેરાત કરી દીધી છે પરંતુ એ પછી તે અન્ય ફિલ્મના કામમાં પડી ગયો હોવાથી 'ડોન થ્રી'નું શૂટિંગ ક્યારે શરુ થશે તે અંગે અટકળો સેવાય છે. રણવીરની બીજી ફિલ્મ 'શક્તિમાન'નો પ્રોજેક્ટ પણ ઢચુપચુ હોવાની વાત અગાઉ વહેતી થઈ હતી.