રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનારા આ કલાકારને રામ ,લક્ષ્મણે અંજલી આપી
રામાયણમાં સુગ્રીવના એપેસોડ ચાલતા હોવાથી લોકો શોકાતૂર બન્યા
અરુણ ગોવિલ (રામ) અને સુનિલ લહેરી (લક્ષ્મણ) ટવીટ કર્યુ
નવી દિલ્હી, 9 એપ્રિલ- 2020, ગુરુવાર
90ના દાયકાના રાષ્ટ્રીય દુરદર્શનની લોકપ્રિય ધારાવાહિકની વાત નિકળે ત્યારે રામાયણ સૌને સાંભરી આવે છે. ટીવીમાં રામાયણ આવવાના સમય દરમિયાન જનતા કરફર્યુ લાગતો હતો. શું આબાલ શું વૃધ્ધ સૌને ઘેલા કરનારી રામાનંદ સાગરની રામાયણ ધારાવાહિકનું દુરદર્શન પર 33 વર્ષ પછી ફરી પ્રસારણ થઇ રહયું છે. ફિલ્મ અને ધારાવાહિક નિર્માણના ક્ષેત્રે આમ તો ઘણું બદલાયું છે પરંતુ રામાયણનો ચાર્મ હજુ જળવાઇ રહયો છે આથી જ તો ટીઆરપીની રેસમાં રામાયણ ખૂબજ સારું પ્રદર્શન કરી રહી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર રામાયણના છેલ્લા સપ્તાહના 4 શો 170 મીલિયન દર્શકોએ જોયા હતા જે 2015 પછીના હિંદી શો નું સૌથી ઉંચુ રેટિંગ છે.
લોક ડાઉન દરમિયાન 45ની વય વટાવી ચૂકેલા માતા પિતા તેમના સંતાનોને રામાયણ ધારાવાહિક બતાવીને રામાયણના પાત્રોનો પરીચય કરાવી રહયા છે. રામાયણના ભૂલાઇ ગયેલા એકટર્સને પણ રાતોરાત મહત્વ મળવા લાગ્યું છે. રામનું પાત્ર ભજવનારા કલાકાર અરુણ ગોવિલ અને સીતા તરીકે ફેમસ દિપીકા ચિખલીયાના માધ્યમોમાં સાક્ષાત્કાર થવા લાગ્યા છે. હનુમાનનુ પાત્ર ભજવનારા, દારાસિંગ, રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી અને જનકનું પાત્ર ભજવનારા સ્વ મૂળરાજ રાજડાને પણ લોકો યાદ કરવા લાગ્યા છે. વિવેચકો પણ માને છે કે રામાયણના પાત્રોની સૌથી મોટી ખાસિયત એ હતી કે દરેક કલાકારે તેને બરાબર ન્યાય આપવા પ્રયાસ કર્યો હતો. એ જમાનામાં રામાયણનો એવો જાદૂ ચાલ્યો કે શ્રધ્ધાળુઓ અગરબતી કરીને ટીવી સામે બેસી જતા હતા.
લોકડાઉનના સમયમાં રામાયણનું પુન પ્રસારણ શરુ થયું ત્યારે રામના વનવાસ દરમિયાન વાનરોના રાજા સુગ્રીવનું પાત્ર ભજવનારા કલાકાર શ્યામ સુંદર કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગત સપ્તાહ 3 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું. આમ તો દુરદર્શન પર રામાયણ ધારાવાહિક ચાલતી ન હોતતો ગુમનામીની ગર્તામાં ખોવાઇ ગયેલા આ કલાકારના મોતથી પણ દુનિયા અજાણ રહી હોત. રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને લક્ષ્મણ સુનિલ લહેરીએ તેમને યાદ કરીને શ્રધ્ઘાંજલી પાઠવી છે. સુનિલ લહેરીએ 3 એપ્રિલના એક હિંદી સમાચાર પત્રની કોપી રજુ કરીને શ્રધ્ધાંજલી આપી છે. રામાયણમાં અનેક પાત્રો ભજવનારા કલાકાર અસલમખાને તેમને ઉમદા કલાકાર અને માણસ ગણાવ્યા હતા. તેમના ફેન્સ વિવિધ રીતે શ્રધ્ધાંજલી આપી રહયા છે એક પ્રશંસકે લખ્ચું કે તેમનો રાજયાભિષેક થવાનો હતો ત્યારે જ તેમનું નિધન થયું છે. ઘણાને આ સમાચાર સાંભળીને ઉંડા દુખની લાગણી વ્યકત કરી છે.
સુગ્રીવનું પાત્ર ભજવનારા સ્વ શ્યામ સુંદરની વાત કરીએ મધ્યપ્રદેશનું જબલપુર તેમનું મૂળ વતન હતું. રામાનંદ સાગરની રામાયણમાં તેમને પ્રથમ વાર જ અભિનય કરવાની તક મળી હતી પરંતુ ત્યાર પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ જમાવી શકયા ન હતા. છેવટે કામ છોડીને પોતાના ઘરે પાછા આવી ગયા હતા. તેમને કેટલીક હિંદી ફિલ્મોમાં પણ નાના મોટા રોલ કર્યા હતા. તેમને એક છોકરી હતી જેની સાથે હરિયાણાના કાલકામાં રહેતા હતા
જો કે નિલમ નામની મહિલાએ ટવીટ કરીને શ્યામ સુંદરને પોતાના નાના જી ગણાવ્યા છે અને તેઓ 26 માર્ચના રોજ સ્વગર્વાસ થયો હોવાનું જણાવે છે જેમાં હિંદી ફિલ્મોમાં તેમના કેટલાક પાત્રોના ફોટા પણ શેર કર્યા છે. રામાયણ પહેલા તો આપણે દર રવીવારે જોતા પરંતુ હવે લોકડાઉનના સમયમાં એક જ દિવસમાં બે વાર આવે છે અને રિપિટ ટેલિકાસ્ટ નહી પરંતુ સળંગ કથા આગળ વધે છે જેનો રસિયાઓ ભરપૂર માણી રહયા છે. રામાયણ ધારાવાહિકની કથા અત્યારે સુગ્રીવ અને તેના વાનરસેનાના માતા સિતાને શોધવા પ્રયાસો કરે છે તેના પર કેન્દ્રીત થઇ છે. આ સમયમાં જ સુગ્રીવનું પાત્ર ભજવનારા કલાકારના અવસાનના સમાચારે ઘણાને શોકાતૂર બનાવી દીધા છે.
.