Bollywood Actor Rajpal Yadav Cheque Bounce Case : બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવે છેલ્લા બે દિવસમાં તેમના 9 કરોડના ચેક બાઉન્સ કેસ મામલે અનેક વાત કહી છે. તેઓએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. રાજપાલે કહ્યું કે, 'હું 1500 કરોડનો માણસ છું...'
રાજપાલે શું કહ્યું?
રાજપાલે કહ્યું કે, 'મારી પાસે આગામી સમયમાં અનેક એવા પ્રોજેક્ટ્સ છે કે જેની કિંમત કરોડોમાં હોય. આમ, મારી પાસે આશરે 1200 કરોડ રૂપિયાનું કામ છે.' ચેક બાઉન્સ કેસ મામલે તેમણે કહ્યું કે, 'પહેલા માત્ર ઘરની વાત હતી. ઈન્ડસ્ટ્રીમાં એક એવું પ્લેટફોર્મ બનાવવામાં આવે કે જ્યાં ઈનવેસ્ટમેન્ટની રીત સરળ હોય અને દરેક વ્યક્તિ તેને સરળતાથી ફૉલો કરી શકે.'
વધુમાં રાજપાલ યાદવે કહ્યું કે, 'હું સમગ્ર ફિલ્મ ફેડરેશનને વિનંતી કરુ છું કે, તેઓ ફિલ્મ બનાવવા માટે એક રોકાણ ફંડ બનાવવા માટે રાજી થાવ. તેઓએ એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવું જોઈએ, જેનું પાલન ફૉરેન ઈનવેસ્ટર્સ અને એક્ટર બંને કરી શકે. જો આવુ થયુ તો બહુ જ સરળતા રહેશે. હું 26 વર્ષથી કામ કરી રહ્યો છું અને ઓછામાં ઓછા 200 એગ્રીમેન્ટ કરી ચૂક્યો છું. જેમાં 1 લાખથી 1.5 લાખ અને પછી 15 લાખ સુધી. જો મેં એગ્રીમેન્ટ માટે લડાઈ કરી હોત, તો આજે મારી સામે ફક્ત એક જ કેસ કેમ છે અને બીજા કોઈનો કેમ નથી?'
કેસ અને પૈસાની લેતીદેતી મામલે રાજપાલે કહ્યું કે, 'હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું. હું કહી રહ્યો છું કે હું આ ફિલ્મ પાછળ જે પણ છે તેને ટેકો આપવા તૈયાર છું, પરંતુ આ 5 કરોડ રૂપિયા પાછળનો હેતુ ખોટો છે. પૈસા લેવા અને લોકોને ફસાવવાનો હેતુ ખોટો છે. માધવ અને મિથિલેશનો ઇરાદો સાચો ન હતો. એટલા માટે આ ફક્ત ત્રણ લોકો વચ્ચેની લડાઈ છે. બીજા કોઈને કંઈ ખબર નથી.'
રાજપાલ યાદવ વિવાદમાં કેવી રીતે ફસાઈ ગયા?
2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. 2018 માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે 5 કરોડ રૂપિયાની આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.


