Entertainment

વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

By GS TEAM
19 Nov 20251 min read
વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

- એક આઈવીએફ કંપનીના માલિકે ફરિયાદ કરી

- જોકે, ફરિયાદ કરનારે 250 કરોડ ચૂકવવાના બાકી હોવાનો વિક્રમ ભટ્ટનો વળતો આરોપ

મુંબઇ : ફિલ્મસર્જક વિક્રમ ભટ્ટ પર  ઉદયપુરની એક આઈવીએફ કંપનીના માલિક ડો. અજય મુરડિયાએ ૩૦ કરોડની છેતરપિંડીનો આરોપ મૂકતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં આરોપ અનુસાર ડો. મુરડિયાને એક ફિલ્મ પ્રોજેક્ટમાં ૩૦ કરોડનું રોકાણ કરવા જણાવાયું હતું. આ ફિલ્મ થકી ૨૦૦ કરોડની કમાણી થવાની લાલચ અપાઈ હતી. ડો. મુરડિયાની સ્વર્ગસ્થ પત્નીની બાયોપિક સહિતં ચાર ફિલ્મોના નિર્માણ કરવાના કરાર હતા. પ્રોડકશન હાઉસે ક્રોન્ટ્રાક્ટ પ્રમાણે કામ કર્યું નહોતું. તેણે ફક્ત બે ફિલ્મો બનાવી હતી જે કોઇ ઢંગની નહોતી. ઉપરાંત જે બે ફિલ્મોનું સૌથી વધુ બજેટ હતું તે તો પ્રોડકશન હાઉસે શરૂ પણ કરી નહોતી. આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સઘળા મામલાની તપાસ થઇ રહી છે, અને આ પછી કાર્યવાહી કરવામાં આવશે. 

 જોકે વિક્રમ ભટ્ટે આ આરોપને ખોટો ગણાવીને ફરિયાદી પોલીસને ગુમરાહ કરી રહ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું હતું કે વાસ્તવમાં ડો. મુરડિયાએ એક ફિલ્મના નિર્માણમાંથી અધવચ્ચેથી હાથ પાછા ખેંચી લીધા હતા. તેણે મારા ટેકનિશિયનોને ૨૫૦ કરોડ ચૂકવવાના બાકી છે. આ પૈસા ન ચૂકવવા  પડે તે માટે તે આ ફરિયાદ કરી રહ્યો છે.