Actor Pawan Singh Viral Video: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અને રાજકારણી પવન સિંહ પર સિંગરે છેડતીએ આરોપ મૂક્યા બાદ વિવાદ સર્જાયો હતો. અભિનેતાની છેડતીના કારણે હરિયાણાની સિંગર અંજલિ રાઘવે ઈન્ડસ્ટ્રી છોડી દેતા વિવાદ છંછેડાયો છે. આ આરોપ બાદ પવન સિંહે સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. તેમજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માફી પણ માગી હતી.
પવન સિંહે માફી માગી
પવન સિંહે અંજલિ રાઘવના આરોપો બાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માફી માગી હતી. તેણે કહ્યું કે, ‘અજંલિજી વ્યસ્ત શિડ્યુલના કારણે હું તમને લાઈવ જોઈ શક્યો નહીં. મને જ્યારે આ વાતની જાણકારી થઈ, તો મને ખૂબ દુઃખ થયું. મારો કોઈ જ ખરાબ ઈરાદો ન હતો. આપણે કલાકાર છીએ. આમ છતાં તમને મારા કોઈપણ વ્યવહારથી તકલીફ થઈ હોય તો હું ક્ષમા માગુ છું.’

અંજલિ રાઘવ સાથેનો વીડિયો વાઈરલ થયો
પવન સિંહનો અંજલિ રાઘવ સાથેનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં બંને સ્ટેજ પર હતા, તે સમયે સિંગર અંજલિ ઓડિયન્સ સાથે વાત કરી રહી હતી, ત્યારે અચાનક પવન સિંહે તેની કમર પર સ્પર્શ કર્યો હતો. આ અંગે તેણે અંજલિને કહ્યું હતું કે, ‘અહીં કંઈક ચોટ્યું છે.’
આમ કહીને તેણે વારંવાર કમર પર સ્પર્શ કર્યો હતો. પવનની આ હરકતથી અંજલિ અસહજ થઈ હતી. તેનો આ વીડિયો વાઈરલ થતાં યુઝર્સે અભિનેતાની ટીકા કરી હતી. વધુમાં પવન સિંહની પત્નીએ પણ તેના પર આરોપો મૂક્યા હતા.
પવન સિંહની પત્નીએ લાંબી પોસ્ટ કરી મૂક્યા આરોપ
પવન સિંહની પત્નીએ પણ પતિ પર આરોપ મૂકતાં સોશિયલ મીડિયા પર લાંબુ લચક લખાણ લખ્યું હતું. તેણે કહ્યું કે, ‘હું ન તો પવનને છૂટાછેડા પણ આપી શકતી નથી, ન તો તેની સાથે રહી શકું છું. પવન સિંહ મારી સાથે વાત કરતા નથી. હું તેમની સાથે રાજકીય અને અન્ય મુદ્દા પર વાત કરવા માગુ છું.’
પત્નીના આ આરોપો બાદ પવન સિંહે ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પવન સિંહે પણ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
પવન સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહેવત લખી હતી કે, 'જિસ તન લાગે સો તન જાને, કોઈ ન જાને પીર પરાઈત.' એટલે કે 'જેના પર વીતે તે જ જાણે, પારકું દુઃખ કોઈ ન જાણે'. આ કહેવતનો ભાવાર્થ એ છે કે જે વ્યક્તિ પર કોઈ મુશ્કેલી, પીડા, કે દુઃખ આવ્યું હોય, તે જ તેનું સાચું દર્દ સમજી શકે છે. બીજા લોકો માત્ર તેને જોઈ કે સાંભળી શકે છે, પણ તેની પીડાની ગંભીરતાનો અનુભવ કરી શકતા નથી.
અંજલિ રાઘવે ભોજપુરી ઈન્ડસ્ટ્રી છોડી દીધી
જ્યારે પવન સિંહ સાથેનો વીડિયો વાઈરલ થયો, ત્યારે હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં લોકપ્રિય સિંગર અંજલિ રાઘવે ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી. અભિનેતાની નિંદા કરતા તેણે ભોજપુરી ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતુ કે, જ્યારથી આ ક્લિપ સામે આવી છે, ત્યારથી હું ખૂબ જ તણાવમાં છું અને મારી સામે જ લોકો આંગળી ચીંધી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે, હું મજા લઉં છું. તમે સ્ટેજ પર જ તેનો જવાબ કેમ ના આપ્યો. તેને લાફો કેમ ના મારી દીધો. એ વખતે તમે હસતા કેમ હતા વગેરે.
જો કે, અંજલિએ વીડિયો પોસ્ટ કરીને આ મુદ્દે જવાબ આપી દીધા છે.


