Kartik Aaryan Trolled for Saat Samundar Paar Remake: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ 'તુ મેરા મૈં તેરી મૈં તેરા તૂ મેરી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ તે પહેલાં જ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. નિર્માતાઓએ તાજેતરમાં 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'વિશ્વાત્મા'ના આઇકોનિક ગીત 'સાત સમુંદર પાર'નું રીમેક વર્ઝન રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ
ઓરિજિનલ ગીતમાં દિવ્યા ભારતીના યાદગાર ડાન્સને યાદ કરતાં લોકોએ આ નવા વર્ઝનને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યું છે. નેટીઝન્સનું કહેવું છે કે બોલિવૂડે વધુ એક એવરગ્રીન ગીતની 'બેન્ડ બજાવી' દીધી છે અને આ ક્લાસિક ગીતનું આનાથી ખરાબ વર્ઝન બીજું કોઈ હોઈ શકે નહીં. ઘણા યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે આ આઇકોનિક ગીતનું મર્ડર કરવામાં આવ્યું છે અને દિવ્યા ભારતીની આત્મા પણ આ સાંભળીને રડતી હશે.
આ પણ વાંચો: ડોન થ્રી પર ફરી અનિશ્ચિતતાનાં વાદળો, રણવીરે ફિલ્મ છોડી
ફિલ્મ 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 150 કરોડના જંગી બજેટમાં બનેલી આ 145 મિનિટની ફિલ્મમાં કાર્તિક અને અનન્યા ઉપરાંત નીના ગુપ્તા, જેકી શ્રોફ, અરુણા ઈરાની, લોકેશ મિત્તલ અને ગૌરવ પાંડે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહર અને અદાર પૂનાવાલા સહિતના દિગ્ગજ પ્રોડ્યુસર્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. જોકે, ગીતના વિવાદને કારણે સોશિયલ મીડિયા પર જે રીતે ભડાસ નીકળી રહી છે, તે જોતા ફિલ્મના પ્રમોશન પર તેની કેવી અસર પડશે તે જોવું રહ્યું.


