- ફિલ્મ ટ્રેક પર લાવવાના પ્રયાસો પર પાણી
- ફરહાને ધુરંધર સફળ થાય તો જ ડોન થ્રી શરુ કરવાનું નક્કી કર્યું હતું, હવે રણવીરે બદલો વાળ્યો
મુંબઇ : રણવીરે 'ડોન થ્રી' છોડી દીધી હોવાની ચર્ચાઓથી બોલિવુડ વર્તુળોએ આંચકો અનુભવ્યો છે. હજુ ગઈકાલ સુધી વાત એવી હતી કે ફરહાન આ ફિલ્મને ટ્રેક પર લાવવા પ્રયાસ કરી રહ્યો છે અને તે અગાઉ ફિલ્મ છોડી ચૂકેલા વિક્રાંત મૈસ્સીને પણ પાછો આવવા મનાવી રહ્યો છે.
પરંતુ, હવે કહેવાય છે કે 'ધુરંધર' હિટ થયા બાદ રણવીરે બેક ટુ બેક ગેન્ગસ્ટર ડ્રામા નહિ કરવા નિર્ણય લીધો છે અને તેથી તેણે 'ડોન થ્રી' છોડી છે. તેેને બદલે તે ઝોમ્બી ડ્રામા 'પ્રલય' પર ફોક્સ કરી રહ્યો છે.
ફરહાન આ જાન્યુઆરી કે ફેબુ્રઆરીથી શૂટિંગ શરુ કરવાની વેતરણમાં હતો પરંતુ રણવીરે અચાનક ફિલ્મ છોડી દેતાં તેની બધી ગણતરીઓ ઉંધી વળી ગઈ છે. જોકે, આ તમામ અટકળો અંગે ફરહાન કે રણવીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એક ચર્ચા એવી પણ છે કે છેલ્લાં બે વર્ષથી રણવીરને એક પછી એક ફિલ્મો ફલોપ જતી હતી ત્યારે ફરહાને 'ડોન થ્રી' પર તત્કાળ કામ ચાલુ કરવાને બદલે તેને રાહ જોવડાવી હતી. ફરહાનની ગણતરી એવી હતી કે રણવીરની 'ધુરંધર' જેવી એકાદ ફિલ્મ ચાલી નીકળે તો જ તેના પર જોખમ ખેડવું. પરંતુ, હવે 'ધુરંધર ' હિટ થઈ ગયા પછી રણવીરે અચાનક ફિલ્મ છોડી બદલો વાળ્યો છે.
અગાઉ શાહરુખ ખાન જ 'ડોન થ્રી' કરવા ઈચ્છતો હતો પરંતુ એ અરસામાં તેની 'ઝીરો' ફિલ્મ ફલોપ જતાં ફરહાને પ્રોજેક્ટ ટાળી દીધો હતો. પછી શાહરુખની ફિલ્મો હિટ થવા લાગી એટલે ફરહાને તેનો ફરી સંપર્ક કર્યો તો ત્યારે શાહરુખે ના પાડી દીધી હતી. હવે રણવીરે પણ ફરહાન સાથે શાહરુખ જેવો વર્તાવ કર્યો છે. આમ, 'ડોન થ્રી ' આડે સતત ગ્રહણ લાગેલું જ રહ્યું છે.


