સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
Ujjwal Nikam on Sanjay Dutt: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની ભલામણ બાદ સરકારના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હવે રાજ્યસભાનું સભ્યપદ લેવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાના કાયદાકીય કારકિર્દી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈમાં થયેલા બ્લાસ્ટ સાથે જોડાયેલી વાતો પણ કહી હતી. તેમણે સંજય દત્ત વિશે પણ દાવો કર્યો હતો. ઉજ્જવલ નિકમે કહ્યું કે, 'જો અભિનેતા સંજય દત્તે હથિયારોથી ભરેલા વાહન વિશે માહિતી આપી હોત તો મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ ટાળી શકાયા હોત. 1993માં દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં થયેલા બ્લાસ્ટમાં 267 લોકો માર્યા ગયા હતા.
અભિનેતાએ હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત
એક ઇન્ટરવ્યુમાં નિકમે કહ્યું, 'હું ફક્ત એક વાત કહેવા માંગું છું. સિરિયલ બ્લાસ્ટ 12 માર્ચે થયો હતો. તેના એક દિવસ પહેલા, એક વાન સંજય દત્તના ઘરે પહોંચી હતી. તેમાં હથિયારો, હેન્ડ ગ્રેનેડ, AK 47 ભરેલી હતી. અબુ સાલેમ તે લાવ્યો હતો. સંજયે કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂકો ઉપાડી હતી. તે પછી, તેણે બધું પાછું આપ્યું અને ફક્ત એક AK 47 રાખી. જો તેણે તે સમયે પોલીસને જાણ કરી હોત, તો પોલીસે તપાસ કરી હોત અને મુંબઈમાં બ્લાસ્ટ ક્યારેય ન થયા હોત.'
હું સંજય દત્તને નિર્દોષ માનું છું: ઉજ્જવલ નિકમ
ઉજ્જવલ નિકમે કહ્યું કે, 'સંજય દત્ત તે સમયે નિર્દોષ હતો અને તેણે એક હથિયાર રાખ્યું હતું કારણ કે તેને બંદૂકોનો શોખ હતો. કાયદાની નજરમાં, તેણે ગુનો કર્યો હતો. પરંતુ તે એક સરળ માણસ છે... હું તેને નિર્દોષ માનું છું. મેં સંજય દત્તના વકીલને પણ કહ્યું હતું કે તેણે AK-47થી ક્યારેય ગોળીબાર નથી કર્યો, તેમજ પ્રતિબંધિત હથિયાર પાસે હોવું એક વાત હતી. પરંતુ પોલીસને જાણ કરવી એ જ બ્લાસ્ટનું કારણ બન્યું અને ઘણા લોકો મૃત્યુ પામ્યા.
જ્યારે સંજય દત્ત કોર્ટમાં ગભરાઈ ગયો
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં, ઉજ્જવલ નિકમને તે સમયની એક ઘટના વિશે પૂછવામાં આવ્યું જે કોઈ જાણતું નથી. આના પર નિકમે કહ્યું કે, 'જ્યારે સંજય દત્તને આર્મ્સ ઍક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી ત્યારે તે ગભરાઈ ગયો. તેથી મારી અને સંજય દત્ત વચ્ચે કંઈક એવું બન્યું હતું, જે તેણે ક્યારેય શેર કર્યું નહીં. સજા સંભળાવ્યા પછી સંજય દત્ત પોતાનો કાબુ ગુમાવી ચૂક્યો હતો. મેં તેના હાવભાવ બદલાતા જોયા. મને લાગ્યું કે તે આઘાતમાં છે. તે ચુકાદો સ્વીકારી શકતો ન હતો.'
આથી મેં તેને કહ્યું, 'સંજય આવું ન કર. મીડિયા તને જોઈ રહ્યું છે. તું એક અભિનેતા છે. જો તું સજાથી ડરતો દેખાય છે, તો લોકો તને દોષી માનશે. તારી પાસે અપીલ કરવાની તક છે.' આથી સંજયે કહ્યું, 'યસ સર, યસ સર.
જણાવી દઈએ કે કોર્ટે સંજય દત્તને ટાડા હેઠળ આતંકવાદી હોવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો, પરંતુ આર્મ્સ ઍક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. બાદમાં, સુપ્રીમ કોર્ટે તેની છ વર્ષની સજા ઘટાડીને પાંચ વર્ષ કરી. સંજય દત્તે પૂણેની યરવડા જેલમાં આ સજા પૂર્ણ કરી.