જ્યોતિષીઓથી ઘેરાયેલો રહેતો ગોવિંદા, ડેવિડ ધવને ભડકાવ્યો હતો: ફિલ્મમેકરનો ચોંકાવનારો દાવો
Govinda Career Downfall Reason: બોલિવૂડના હીરો નંબર 1 એટલે ગોવિંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેની પત્ની સુનીતા અહૂજાએ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ગોવિંદા ખોટા લોકોની સંગતમાં છે જે તેને આગળ વધવા દેતા નથી. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે, ગોવિંદા એક જ્યોતિષી છે, તેને જ્યોતિષીનું ખૂબ જ્ઞાન છે. હવે ફિલ્મ પ્રોડ્યૂસર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ પણ એવું જ કહ્યું હતું. તેણે ગોવિંદાને અણસમજુ પણ ગણાવ્યો હતો. યુટ્યૂબ ચેનલ પર વિક્કી લાલવાણી સાથે એક ઇન્ટરવ્યૂમાં પહલાજે કહ્યું હતું કે, ગોવિંદાએ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકોની વાત સાંભળી જે તેના માટે સારા ન હતા અને તેણે પંડિતોને મિત્ર બનાવી લીધા હતા. પહલાજે નિહલાનીએ ગોવિંદાના કારકિર્દીના પતન વિશે નિખાલસ વાત કરી અને અભિનેતાની ખરાબ સંગતને તેનું મુખ્ય કારણ ગણાવ્યું.
ગોવિંદાની કારકિર્દી બરબાદ શા માટે થઈ?
ગોવિંદાની કારકિર્દી બરબાદ થવાને લઈને પહલાજે કહ્યું, 'ગોવિંદા એક ઑલરાઉન્ડર હતો. તેણે પોતાના કારકિર્દીને ખૂબ જ સારી રીતે સંભાળી, પરંતુ પોતાની નબળાઈને કારણે તે લોકો પર સરળતાથી વિશ્વાસ કરી લેતો હતો, જેના કારણે આવું થયું. તે પંડિતો, જ્યોતિષીઓ, ભવિષ્યવક્તાઓ પર વિશ્વાસ કરતા હતા. તેની સંગતમાં રહેતા. જેની અસર તેના કારકિર્દી પર થઈ.'
પહલાજે વધુમાં કહ્યું, 'તે સિંગલ-સ્ક્રીનનો હીરો હતો, અને જ્યારે મલ્ટિપ્લેક્સ આવ્યા, બાદ લોકોએ તેની ફિલ્મો જોવાની ટાળી દીધી. ફિલ્મ ‘પાર્ટનર’ આવી ત્યારે દર્શકોએ ગોવિંદાને જેવો જોઈએ તેવો રેસપોન્સ આપ્યો નહીં. ડેવિડ ધવન તેની સાથે કામ કરી રહ્યો હતો અને ડેવિડ ધવને ગોવિંદાના મનમાં મારા વિરુદ્ધ ઝેર ઓખી દીધું. કારણ કે ગોવિંદાને લાગતું હતું કે હું પૈસા કમાયો, જ્યારે મારી પિક્ચરથી તેનું નામ થયું.'