એઆઈથી રાંઝણાનો ક્લાઈમેક્સ બદલવા સામે ધનુષનો પણ વિરોધ

- મૂળ ફિલ્મનું હાર્દ જ મારી નાખ્યું
- એઆઈ દ્વારા સિનેમા સાથે ચેડાં બાબતે કડક નિયંત્રણો લાદવાની માગણી
મુંબઇ : 'રાંઝણા' ફિલ્મનો ક્લાઈમેકસ એઆઈથી બદલી દઈ રી રીલિઝ કરવા સામે અગાઉ ફિલ્મ દિગ્દર્શક આનંદ એલ રાયે વિરોધ નોંધાવ્યા બાદ હવે ફિલ્મના હિરો ધનુષે પણ ભારે નારાજગી પ્રગટ કરી છે. ધનુષે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આ એ ફિલ્મ નથી જેના માટે મેં કમિટ કર્યું હતું. નવા અંતંમાં ફિલ્મનું મૂળ હાર્દ જ મારી નાખવામાં આવ્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે ફિલ્મમાં એઆઈની મદદથી ચેડાં કળા અને કળાકારો બંને માટે બહુ મોટું જોખમ છે. આ બાબતે ક્યાંક તો મર્યાદા આંકવી જ પડશે અને આ માટે જરુર પડે કડક નિયંત્રણો લદાવાં જોઈએ.
૨૦૧૩માં રજૂ થયેલી મૂળ ફિલ્મમાં ધનુષના પાત્રનું મૃત્યુ દર્શાવાયું છે. જોકે, તમિલમાં નવેસરથી રીલિઝ કરાયેલી ફિલ્મમાં એઆઈની મદદથી તેનો અંત બદલી ધનુષને જીવંત બતાવાયો છે.
અગાઉ ફિલ્મની નિર્માણ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ દ્વારા આ ફિલ્મનો અંત બદલવા સામે ડાયરેક્ટર આનંદ એલ રાયે ઉઠાવેલા વાંધાને ફગાવી દેતાં જણાવાયું હતું કે ફિલ્મ પર કોપીરાઈટનની સંપૂર્ણ માલિકી નિર્માતાની હોય છે અને તે તેમાં ધારે તેવા ફેરફાર કરી શકે છે.
આનંદ એલ રાયે નવા અંત સાથેની ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે પોતાનું નામ ન સાંકળવામાં આવે તેવી માગણી કરી હતી.









