દિલજીતે તારીખના કારણે નો એન્ટ્રી ટુ છોડી હોવાનું બોનીનું બહાનું

- દિલજતની એક્ઝિટ બોનીએ કન્ફર્મ કરી
- દિલજીતને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન પડી હોવાથી ફિલ્મ પડતી મૂકી હોવાની ચર્ચા
મુંબઇ : બોની કપૂરે 'નો એન્ટ્રી ટુ'માંથી દિલજીત આઉટ થઈ ગયો હોવાનું કન્ફર્મ કર્યું છે. જોકે, બોનીએ એવું બહાનું કાઢ્યું છે કે દિલજીત પાસે આગામી મહિનાઓમાં તારીખો નહિ હોવાથી તેણે આ ફિલ્મ છોડી છે.
જોકે, બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર દિલજીતને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન આવી હોવાથી તેણે આ ફિલ્મ છોડી દીધી છે. દિલજીતને ઓરિજિનલ સ્ટોરી આઇડિયા બહુ ગમ્યો હતો એટલે તેણે ફિલ્મ સાઈન કરી હતી. પરંતુ, સ્ક્રિપ્ટ જોયા પછી તેને લાગ્યું હતું કે આ ફિલ્મમાં પોતાનો રોલ બહુ સારો નથી. તેણે નિર્માતા બોની કપૂર અને દિગ્દર્શક અનીસ બઝમી સાથે સ્ક્રિપ્ટમાં ફેરફારોની ચર્ચા પણ કરી હતી પરંતુ કોઈ મેળ પડયો ન હતો.
જોકે, બોનીએ કહ્યું હતું કે દિલજીતની અને 'નો એન્ટ્રી ટ'ુના શેડયુલની તારીખો મેળ ખાતી ન હોવાથી અમે સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. દિલજીતનું શેડયુલ બહુ વ્યસ્ત છે. તે ૨૬ ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી ઓસ્ટ્રિલયા અને ન્યુઝીલેન્ડની તેની ઓરા ટૂર છે. જેથી તે 'નો એન્ટ્રી ટુ'ના શેડયુલ માટે તારીખો ફાળવી શકે એમ નથી. મૂળ 'નો એન્ટ્રી'નો બીજો ભાગ બનાવવાની વાત છેલ્લા એક દાયકાથી ચર્ચાય છે.
પરંતુ, તેમાં એક પછી એક વિધ્ન આવતાં રહે છે.








