દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને ક્લીનચિટ, વિપક્ષે કહ્યું- માફી માંગે ભાજપના નેતાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Disha Salian Case: એક્ટર સુશાંત સિંહ રાજપુતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મોતનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ મામલે મુંબઈ હાઈકોર્ટે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને ક્લિનચીટ આપી છે. હાઈકોર્ટે ઠાકરેને ક્લિનચીટ આપતાં કહ્યું કે, દિશા સાલિયાનની મોત કોઈપણ પ્રકારનું ષડયંત્ર નથી. આ આપઘાતનો મામલો છે. હાઈકોર્ટની ક્લિનચીટ મળતાં જ મહાવિકાસ અઘાડી, શિવસેના (યુબીટી)ના નેતાઓએ ભાજપને આદિત્ય ઠાકરેની માફી માગવા કહ્યું છે.
મુંબઈ હાઈકોર્ટે શું કહ્યું?
મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે, દિશા સાલિયાનનું વર્ષ 2020માં મોત થયું હતું. તેમાં કોઈ શંકાસ્પદ એંગલ મળ્યો નથી. વરિષ્ઠ પોલીસ કર્મી શૈલેન્દ્ર નાગરકરે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, આ મામલો આપઘાતનો છે. તેમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આપઘાતનું કારણ સાબિત થયું છે.
આદિત્ય ઠાકરેની માફી માગો
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિના અન્ય નેતાઓને આદિત્ય ઠાકરેની માફી માગવા કહ્યું છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને નિતિશ રાણે સહિત તમામે આદિત્ય ઠાકરેની માફી માગવી જોઈએ.
ઉલ્લેખનીય છે, દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો મુદ્દો ભાજપ અને તેના મહારાષ્ટ્ર ગઠબંધને જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર અનેક આક્ષેપો કર્યા હતાં.
આ પણ વાંચોઃ 'અક્ષય, સુનિલ અને પરેશ રાવલ વચ્ચે મતભેદો હતા', હેરાફેરી-3ના ફિલ્મ નિર્માતાનો ખુલાસો
રોહિત પવારે પણ ભાજપની ટીકા કરી
એનસીપીના નેતા રોહિત પવારે પણ ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે, ભાજપ સાલિયાન કેસમાં ઠાકરેનું નામ જોડી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આદિત્ય ઠાકરેનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. ભાજપ ગંદુ રાજકારણ રમી રહ્યું છે.
દિશાના પિતાએ કરી હતી ફરિયાદ
દિશાના પિતાએ આ મામલે મુંબઈ હાઈકોર્ટ સમક્ષ PIL ફાઈલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, તેમની દિકરીનું દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી છે. રાજકીય દબાણના કારણે તેને આપઘાતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અપીલમાં આદિત્ય ઠાકરે વિરૂદ્ધ આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ માગ કરી હતી.
સુશાંતના મોતની પહેલાં જ કર્યો હતો આપઘાત
સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને 9 જૂનના રોજ પોતાના મલાડ સ્થિત ઘરની બિલ્ડિંગમાંથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. તેના થોડા દિવસ બાદ જ સુશાંત સિંહે પણ આપઘાત કરી લીધો હતો. તેની મોતને પણ હત્યા અને ડ્રગ્સ રેકેટ સાથે જોડવામાં આવી હતી.









