અમિતાભને રામાયણમાં દશરથના રોલની ઓફર
Updated: Feb 13th, 2024
- રામાયણનાં કાસ્ટિંગની રોજ નવી અટકળો
- અગાઉ સંજય ખાને પણ અમિતાભને દશરથની ભૂમિકા જ ઓફર કરી હતી
મુંબઇ : અમિતાભ બચ્ચનને નિતેશ તિવારીની 'રામાયણ'માં દશરથની ભૂમિકાની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
૩૫૦ કરોડનું બજેટ ધરાવતી 'રામાયણ' ફિલ્મના કાસ્ટિંગ વિશે રોજેરોજ નવી અપડેટ આવતી રહે છે. હવે અપડેટ એવી છે કે અમિતાભને ફિલ્મમાં રાજા દશરથનો રોલ ઓફર કરાયો છે. જોકે, અમિતાભે સંમતિ આપી છે કે કેમ તે તત્કાળ જાણવા મળ્યું નથી. અમિતાભ સંમતિ આપશે તો તેઓ અને રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર' પછી ફરીવાર સાથે દેખાશે.અગાઉ સંજય ખાન 'ધી લિજેન્ડ ઓફ રામ' ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે પણ અમિતાભને દશરથની ભૂમિકા જ ઓફર કરાઈ હતી. જોકે, છેવટે એ ફિલ્મ બની જ ન હતી. નિતેશ તિવારીની 'રામાયણ'માં રામની ભૂમિકા માટે રણબીર કપૂરે તૈયારી શરુ કરી દીધી છે. સીતા માતાના રોલમાં સાઉથની હિરોઈન સાઈ પલ્લવી છે. જોકે, થોડા સમય અગાઉ એવી પણ અટકળ હતી કે કદાચ જાહ્નવી કપૂર આ રોલ મેળવી શકે છે. બાદમાં આ અહેવાલો નકારાયા હતા.