Entertainment

પ્રશાંત વર્મા પર 200 કરોડની હેરફેરનો નિર્માતાઓનો આરોપ

By GS TEAM
4 Nov 20252 mins read
પ્રશાંત વર્મા પર 200 કરોડની હેરફેરનો નિર્માતાઓનો આરોપ

- હનુમાન ફિલ્મના સર્જક-દિગ્દર્શક બાખડયા

- પ્રશાંતની રણવીર સાથેની રાક્ષસ બાદ પ્રભાસ સાથેની બ્રહ્મ રાક્ષસ પણ અટકે તેવી સંભાવના

મુંબઇ : ભારતભરમાં સફળ થયેલી ફિલ્મ 'હનુમાન'ના નિર્માતા નિરંજન રેડ્ડીએ  ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત વર્મા પર ૨૦૦ કરોડની હેરાફેરીનો આરોપ મૂક્યો છે. પ્રશાંત વર્માએ આ આરોપો નકાર્યા છે. બંનેએ એકબીજા સામે તેલુગુ ફિલ્મ ચેમ્બરમાં ફરિયાદ નોંધાવી છે. 

પ્રશાંત વર્મા બોલીવૂડ એક્ટર રણવીર સાથે 'રાક્ષસ' ફિલ્મ બનાવવાના હતા પરંતુ બાદમાં તેમના અને રણવીર વચ્ચે મતભેદો સર્જાતાં આ ફિલ્મ અટકી ગઈ હતી. તેઓ હાલ પ્રભાસ સાથે 'બ્રહ્મરાક્ષસ' ફિલ્મ પ્લાન કરી રહ્યા છે પરંતુ આ ફિલ્મ પણ હવે અટકી પડે તેવી અટકળો છે. 

નિરંજન રેડ્ડીએ  પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પ્રશાંત વર્મા સાથે તેમણે   ચાર ફિલ્મો-અધીરા, મહાકાલી, જય હનુમાન અને બ્રહ્મ રાક્ષસનું દિગ્દર્શન કરવાનો કરાર કર્યો હતો. આ માટે તેમણે પ્રશાંતને ૧૦.૩૪ કરોડ રુપિયા પ્રારંભિક ખર્ચ માટે આપ્યા હતા. બાદમાં ઓક્ટોપસ નામની વધુ એક ફિલ્મ બનાવવાનું નક્કી કરી તે માટે બીજા ૧૦.૨૩ કરોડ આપ્યા હતા. પણ પ્રશાંત વર્માએ કામ આગળ વધાર્યું ન હતું. તેણે અધીરા  અને મહાકાલીનું કામ અન્યોને સોંપી દીધું હતું. 

જય હનુમાન અને બ્રહ્મ રાક્ષસ પ્રોજેક્ટ અન્ય નિર્માતાઓ સાથે આગળ વધારવા માંડયા હતા. રેડ્ડીએ ૩૬ ટકા વ્યાજ સાથે પૈસા પાછા માગ્યા છે અને નુકસાન પેટે ૨૦૦ કરોડનું વળતર માગ્યું છે. 

પ્રશાંત વર્માએ આ તમામ આરોપો ફગાવ્યા છે. ફિલ્મોના કરાર બાબતે રેડ્ડી અર્ધસત્ય બોલી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું છે.