Editorial

બંગાળમાં ઘૂસણખોરો સામે સરકાર આક્રમક નીતિ અપનાવશે

By GS TEAM
2 Jun 20263 mins read
બંગાળમાં ઘૂસણખોરો સામે સરકાર આક્રમક નીતિ અપનાવશે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનું શાસન હટી જતાં જ પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ભાગદોડ મચી ગઇ. નવા મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો સપાટો બોલાવ્યો અને પોતાના રક્ષણહાર (મમતા) હારી જતાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓએ પોતે જ સ્વદેશ ભણી દોટ મૂકી. વધુ ચોંકાવનારી વાત તો એ બની કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાંથી સંખ્યાબંધ આધાર કાર્ડ મળી આવ્યા. આ આધાર કાર્ડ બનાવટી હોઇ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક વગદાર નેતાઓએ મમતાથી દૂર ખસી જવામાં ડહાપણ માન્યું. એક વિધર્મી નેતાના બંગલામાં અન્ડરગ્રાઉન્ડ બીજો લક્ઝરી ફ્લેટ મળી આવ્યો. આ નેતાજી આરબ શેખોની જેમ સોનાના પલંગમાં પોઢે છે એવી જાણકારી મળી.

માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં, જે જે રાજ્યોની સીમા પાકિસ્તાન કે બાંગ્લાદેશની સરહદ નજીક છે ત્યાં દરેક સ્થળે આ રીતે ઘુસણખોરી વરસોથી થતી રહી છે. વિધર્મીઓની ઘુસણખોરી બે પ્રકારે થતી રહી છે. અત્યાર સુધીની દરેક કોંગ્રેસ સરકારે એ ઘુસણખોરીને સીધું કે આડકતરું  પ્રોત્સાહન આપ્યું છે. કાયદેસર ઘુસણખોરી કેવી રીતે થાય છે એ પણ જાણવું રસપ્રદ છે. 

તમે ફિલ્મ સર્જક કબીર ખાન અને અભિનેતા સલમાન ખાનની સુપરહિટ ગણાયેલી ફિલ્મ બજરંગી ભાઇજાન જોઇ હશે. એનો આરંભ એ રીતે થાય છે કે જૂની દિલ્હીમાં આવેલી હજરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ પર દર્શન કરવા આવેલી એક પાકિસ્તાની મહિલાની મૂંગી બાળકી ભૂલથી ભારતની ધરતી પર રહી જાય છે. પાકિસ્તાન તરફ જતી ટ્રેન ઊપડી જાય છે. આ દ્રશ્ય ફિલ્મ સર્જકની કોરી કલ્પના નથી. હજરત નિઝામુદ્દીન ઔલિયા કે અજમેર નિવાસી ખ્વાજા ગરીબનવાઝના દર્શન કરવા, ક્રિકેટ મેચ નિહાળવા કે હૉકી સ્પર્ધા નિહાળવા કે એવા જ બીજા બહાના હેઠળ પાકિસ્તાની કે બાંગ્લાદેશી વિધર્મી કાયદેસર વીઝા દ્વારા ભારતમાં એકવાર પ્રવેશી જાય. 

અહીં રહેવાના વીઝા પૂરા થઇ જાય એ પછી પણ આ શ્રદ્ધાળુઓ કે રમતપ્રેમીઓ ભારત છોડી જતા નથી. આ વિશાળ દેશના કોઇ ખૂણા ખાંચરામાં અલોપ થઇ જાય છે. બાકીનું કામ સ્થાનિક મતલાલચુ નેતાઓ કરી આપે છે. થોડા સમય બાદ આવા વિધર્મીઓને રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ વગેરે મળી જાય છે. એ ભારતીય નાગરિક બની જાય છે અને સ્થાનિક લોકોના ભોગે બધી સગવડો મેળવે છે. એક કરતાં વધુ વખત સંસદમાં આ બાબતે ચર્ચા થઇ છે. સંબંધિત પ્રધાને આંકડા સુદ્ધાં આપ્યાં છે કે કેટલા પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓ આ રીતે કાયદેસર ટુરિસ્ટ વીઝા પર આવીને પછી અદ્રશ્ય થઇ જાય છે. આવો આંકડો બેથી પાંચ કરોડનો હોવાનો એક અંદાજ છે.

આપણે જેને પાકિસ્તાન કે બાંગ્લાદેશ કહીએ છીએ એ પણ એક સમયે અથવા કહો કે ૧૯૪૭ પહેલાં અખંડ ભારતનો એક હિસ્સો જ હતો ને! એ તો બ્રિટિશો દેશના ભાગલા પાડી ગયા એટલે જે તે હિસ્સો ભારતથી અલગ થઇ ગયો. એ હિસ્સાને આપણે પાકિસ્તાન કે બાંગ્લાદેશના નામે ઓળખીએ છીએ. આ બંને સ્થળે પારાવાર ગરીબી છે. આપણા કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર છે. અખબારોમાં અવારનવાર સમાચાર પ્રગટ થાય છે કે પાકિસ્તાનમાં એક પરોઠો સોથી દોઢસો રૂપિયે વેચાય છે. ઘઉંનો લોટ બસો અઢીસો રૂપિયે કિલોના હિસાબે મળે છે. આવા સંજોગોમાં આ બંને દેશોના લોકો ભારતમાં ગમે તે ભોગે ઘુસી જવા તત્પર હોય છે. મમતા, અખિલેશ યાદવ અને લાલુ યાદવ  જેવા નેતાઓ આવા ઘુસણખોરોને આવકારવા  તૈયાર બેઠાં હોય છે. 

જિહાદીઓના ત્રાસ પછી બહુમતી હિન્દુ મતદારો થોડા- રિપિટ થોડા, જાગ્રત થવા લાગ્યા છે, કેન્દ્રમાં હિન્દુવાદી કહેવાતી સરકાર છે એટલે પરિસ્થિતિ ધીમે ધીમે પલટાઇ રહી છે. પ્રાચીન ધર્મસ્થાનો તોડીને કે વિકૃત કરીને ત્યાં અન્ય ધર્મસ્થાન ઊભાં કરાયાં એ હકીકત તરફ સ્થાનિક લોકો અવાજ ઊઠાવતા થયા છે, અદાલતો એ હકીકત સ્વીકારતી થઇ છે કે હિન્દુ ધર્મસ્થાનો પર વિધર્મી ઇબાદતગાહો ઊભી કરાઇ છે. આવું બનવાથી સ્વાભાવિક છે કે પોતાને સેક્યુલર ગણાવતા લોકોના પેટમાં તેલ રેડાયું છે. ડાબેરીઓ અને આ સેક્યુલરો હવે અકળાયા છે. એમાંય પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર નીતિનો અમલ શરૂ થતાં રઘવાયા થયેલા બાંગ્લાદેશી પરિવારો નાસભાગ કરી રહ્યા છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આગામી દિવસોમાં કદાચ હજુ વધુ કડક પગલાં કેન્દ્ર સરકાર લે તો નવાઇ નહીં.