ખંભાળિયામાં વર્ષો જૂનો પુલ મધરાતે બેસી ગયો, ઘાત ટળી
- જર્જરીત પુલમાં ગાબડાંની વાતે દોડધામ
- જાનહાની કે દુર્ઘટના ટળી પરંતુ વાહન વ્યવહાર ખોરવાયો, પુલ આડે મુકવા પડયાં પથ્થરો
ખંભાળિયા, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
ખંભાળિયા ભાણવડ માર્ગ પર ગુંદા ગામ નજીક આશરે અડધી સદી જુનો પથ્થરનો પુલ ગત રાત્રે બેસી જતાં થોડો સમય સ્થાનિકોમાં દોડધામ પ્રસરી ગઈ હતી. જો કે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. તંત્ર દ્વારા વાહન વ્યવહાર અન્ય માર્ગ પર ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.
ખંભાળીયાથી આશરે ૨૨ કિલોમીટર દુર ભાણવડ તરફ જતા માર્ગ પર ગુંદા ગામના પાટીયા તથા સાજડીયાળી ગામના પાટિયા વચ્ચે આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂનો પથ્થરનો પુલ આવેલો છે. આ પુલ જર્જરિત થઈ જતાં ગતરાત્રે એકાએક આ પુલમાં ગાબડા જેવું પડી જતાં પુલ બેસી ગયો હતો.
જે તે સમયે પંચાયત હસ્તકનો અને હાલ આર. એન્ડ બી. વિભાગના નેજા હેઠળનો આ ચાર ગાળાનો પુલ ગત રાત્રે બેસી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંના આર. એન્ડ બી. વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી અહીંના નાયબ કાર્યપાલક ઇજનેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પુલ આડે પથ્થરો મૂકી, વાહન વ્યવહાર ગુંદા તથા સાજડીયારી ગામ વચ્ચેથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
આ પુલ બેસી જવાના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. પરંતુ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહન વ્યવહાર માર્ગ પર ડાયવર્ટ કરી, તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.