દિલ્હીની વાત : મણિપુર મામલે સરકારની અકળ નિષ્ક્રીયતા
નવીદિલ્હી : લોકસભામાં વક્તવ્ય આપતી વખતે મણીપુરના સાંસદ એ. બીમોલ અકોઈ જામે કહ્યું હતું કે, 'મણીપુર મામલે સરકારનું મૌન નવાઈ પમાડે એવું છે. શું બધા એમ કહેવા માંગે છે કે એમને માટે મણીપુરની અગત્યતા નથી?' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર પછી એમના વક્તવ્યમાં મણિપુરની પરિસ્થિતિ કાબુમાં હોવાની વાત કરી હતી. મણીપુરમાં તોફાનો વચ્ચે રાહુલ ગાંધી મણીપુર ગયા અને ત્યાંના પીડીતોને મળીને એમની વ્યથા સાંભળી. દિલ્હીના રાજકીય સમીક્ષકોને નવાઈ લાગે છે કે હજી પણ એનડીએ સરકાર મણીપુરમાં સક્રીય છે એ બતાવવા માટે કોઈ પગલા કેમ નથી લેતી?
કિડની બદલવાના કૌભાંડમાં એપોલો હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ
બાંગ્લાદેશ અને ભારતના કેટલાક નાગરીકો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ બાબતે દિલ્હીની પોલીસે ખ્યાતનામ હોસ્પિટલ એપોલોના ડોક્ટર વિજયાકુમારીની ધરપકડ કરી છે. એમ મનાય છે કે આ ડોક્ટર બાંગ્લાદેશની ગેંગ સાથે સંડોવાયેલા છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન આ ગેંગે ૧૫થી ૧૬ જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ ગેરકાયદેસર રીતે કરીને એપોલો હોસ્પિટલની બદનામી કરી છે. દિલ્હી ખાતે આવેલા બાંગ્લાદેશના હાઇકમિશન ખાતે કેટલાક બનાવટી દસ્તાવેજો તૈયાર થયા હતા. કિડનીનું દાન કરનાર દાતા અને કિડની મેળવનાર દર્દી વચ્ચે કોઈપણ પ્રકારનો કૌટુંબીક સંબંધ નહીં હોવા છતાં એમની વચ્ચે સંબંધ પ્રસ્થાપીત કરતા ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં હવે નવા ધડાકા થશે એમ લાગી રહ્યું છે.
ભાજપના સાંસદે ખુલ્લેઆમ દારૂ પીવડાવીને જીતની ખુશી મનાવી
કર્ણાટકના ચીકબલપુર મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ કે. સુધાકર કંઈક અલગ જ મૂડમાં હતા. પોતાની જીતથી તેઓ અત્યંત ખુશ હતા અને આ ખુશી એમણે ભાજપના કાર્યકરો સાથે વહેંચવી હતી. દિલ્હીથી ચીકબલપુર પરત આવ્યા પછી સુધાકરના કેટલાક મિત્રોએ એમની પાસે પાર્ટી માંગી. 'દિલદાર' સુધાકરે કોઈપણ જાતની શેહશરમ વગર પોતાના કાર્યકરો માટે દારૂની બોટલો ખુલ્લી મુકી દીધી. આ પાર્ટીનો વિડિયો વાયરલ થયો ત્યારે કર્ણાટક કોંગ્રેસના કેટલાક નેતાઓ ચોંકી ઉઠયા. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે જેપી નડ્ડાને પાર્ટીનો વિડિયો મોકલ્યો અને સવાલ કર્યો કે ભાજપ શું હવે દારૂના વ્યસનને સમર્થન આપે છે?
દિલ્હી વિધાનસભા 2025ની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી આરંભી
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દિલ્હીની એક પણ બેઠક ભલે મળી નહીં હોય, પરંતુ દિલ્હી કોંગ્રેસના નેતાઓનો આત્મવિશ્વાસ ઓછો થયો નથી. ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મતદારોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસે મતદારોને ૨૫ જેટલી અલગ અલગ ખાતરીઓ આપવાનું નક્કી કર્યું છે. ખેડૂતો, સ્ત્રીઓ, બેકારો તેમ જ ગરીબો માટે ખાસ યોજનાઓની જાહેરાત થશે. દિલ્હી વિધાનસભા ઉપરાંત દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પ્રચારના મુદ્દાઓ નક્કી થઈ ગયા છે. ભાજપ અને આમ આદમી પક્ષ તરફ ઝૂકેલા મતદારને ફરીથી કઈ રીતે કોંગ્રેસ તરફ વાળવા એનું મનોમંથન થઈ રહ્યું છે.
દિલ્હીમાં ડેંગ્યુનો હાહાકાર : સરકારી આરોગ્ય તંત્ર દોડતું થયું
આજકાલ દિલ્હીમાં ડેંગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેંગ્યુ મચ્છરજન્ય રોગ છે. લોહીમાં આવેલા પ્લેટલેટની સંખ્યા ઘટી જાય તો દર્દીની પરિસ્થિતિ ગંભીર બની જાય છે. સ્થાનિક મીડિયાએ આ બાબતે હોબાળો મચાવ્યો એટલે દિલ્હીના આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હી અને નોઇડાની વિવિધ હોસ્પિટલોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. ડેંગ્યુની સારવાર માટેની દવાઓ તેમ જ લોહીમાંથી પ્લેટલેટ બનાવતા મશીનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેની તપાસ શરૂ થઈ છે. ભારદ્વાજે દિલ્હીના સિનિયર મેડિકલ અધિકારીઓ સાથે બેઠકો કરી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં ડેંગ્યુના વધતા કેસોને કાબુમાં કરવામાં આવે.
વિવાદ થતાં દિલ્હીના પાંચ હજાર શિક્ષકોની બદલી અટકી
થોડા દિવસો પહેલા દિલ્હીના શિક્ષણ વિભાગે એક સાથે પાંચ હજાર જેટલા સ્કૂલ શિક્ષકોની બદલી કરી દીધી હતી. આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની બદલી થઈ હોવાથી મોટો વિવાદ થયો હતો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ બદલીથી વ્યથિત હતા. આમ આદમી પાર્ટીનું કહેવું હતું કે, આટલી મોટી સંખ્યામાં કરવામાં આવેલી બદલીઓ ભાજપનું કાવતરું છે. બીજી તરફ કોંગ્રેસે ભાજપ અને આપ બંનેને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી આતીસી મારલેનાનું કહેવું છે કે, છેલ્લા દસ વર્ષમાં સરકારી શાળાનું ધોરણ સુધર્યું હતું એ ભાજપથી જોવાયું નહીં. વિવાદ વકરતા દિલ્હીના ગર્વનર વી. કે. સક્સેનાએ મુખ્ય સચીવ નરેશકુમારને સૂચના આપીને શિક્ષકોની બદલ અટકાવી દેવા કહ્યું છે.
રાયબરેલીમાં ભાજપનું પોસ્ટર વોર, રાહુલની પૂજા વ્યૂહ
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ અને સંઘને નફરત ફેલાવતા હિન્દુ ગણાવ્યા હતા. એ પછી વિવાદ થયો હતો. ભાજપે કહેલું કે રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન કર્યું, જ્યારે રાહુલે બચાવ કર્યો હતો કે મેં હિન્દુઓનું અપમાન નથી કર્યું, પરંતુ ભાજપ-સંઘ નફરત ફેલાવે છે એવું કહ્યું છે. એ પછી રાયબરેલીમાં ભાજપના કાર્યકરોએ ઠેર-ઠેર રાહુલ ગાંધીના વિરોધમાં પોસ્ટર્સ લગાવ્યા હતા અને રાહુલ ગાંધી જવાબ આપે એવી માગણી કરી હતી. એ દરમિયાન રાહુલે અચાનક રાયબરેલીની મુલાકાત લીધી હતી અને હનુમાનજીના મંદિરમાં પૂજા કરી હતી. ભાજપના પોસ્ટર વોરના ચક્રવ્યૂહ સામે રાહુલનો પૂજાવિધિનો વ્યૂહ ચર્ચામાં રહ્યો હતો.
તેજસ્વી યાદવની લોકપ્રિયતાથી નીતીશ બાબુ ટેન્શનમાં
લોકસભાની ચૂંટણીમાં તેજસ્વીને ધારણા કરતાં ઓછી સફળતા મળી. આરજેડીને ૧૦-૧૨ બેઠકો મળશે એવી અટકળો વચ્ચે માત્ર ચાર બેઠકો મળી હતી, પરંતુ બિહારમાં તેજસ્વીએ સૌથી વધુ સભા-રેલીઓ કરી હતી. સતત એક્ટિવ રહ્યા હતા. લોકસભામાં ભલે ધારી સફળતા ન મળી છતાં તેજસ્વીની લોકપ્રિયતા વધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેજસ્વી છવાયા છે. સોશિયલ મીડિયામાં પણ તેજસ્વીની તરફેણમાં વાતાવરણ છે. એ જોઈને નીતીશબાબુ ટેન્શનમાં છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વીને સફળતા ન મળે એ માટે તેમના સલાહકારોને વ્યૂહ ઘડવાનું કામ સોંપ્યું છે.
યુપીમાં આવાસ યોજનાના પૈસા લઈ મહિલાઓ પ્રેમી સાથે પલાયન
ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓમાં આવાસ યોજનાનો મુદ્દો જરા જુદી રીતે ચર્ચામાં છે. લખનઉની ઓફિસમાં બેસીને અધિકારીઓ આ મુદ્દે ઠહાકા લગાવી રહ્યા છે અને પતિઓ તરફ સહાનુભૂતિ પણ દર્શાવી રહ્યા છે. વાત એમ છે કે રાજ્યમાં ૧૧ એવા કિસ્સા નોંધાયા છે કે જેમાં પરણિત મહિલાઓને સરકારી આવાસ યોજના હેઠળ પૈસા મળ્યા હોય. તેમના એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય એ પછીના દિવસોમાં જ ૧૧ મહિલાઓ પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. એવી ફરિયાદો લઈને પતિઓ સરકારી ઓફિસમાં આજીજી કરી રહ્યા છે. હવે અધિકારીઓ મૂંઝાયા છે કે કરવું તો કરવું શું?
હરિયાણામાં લીવ ઈન પર પ્રતિબંધની ખાપ પંચાયતની માગણી
ખાપ પંચાયતે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને રજૂઆત કરી છે કે લીવ ઈન પર પ્રતિબંધ મૂકવામાં આવે. કારણ કે તેનાથી સામાજિક બંધારણ પર ગંભીર ખતરો સર્જાયો છે અને સમાજને ઓળખ માટે લડત લડવી પડી રહી છે. હિન્દુ મેરેજ એક્ટના સુધારામાં તેમના સમાજને અને ખાસ તો ઉત્તર ભારતની જ્ઞાાતિઓની પરંપરાને ફટકો પડે તેમ છે. તેમાં જે સુધારા થયા છે તેનાથી સામાજિક સ્ટ્રક્ચર અને માતા-પિતાની સંમતિનું મહત્ત્વ ઘટશે. વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ખાપની આ માગણીથી હરિયાણામાં ભાજપની સરકાર ભીંસમાં આવી છે.
વકીલોની ઓનલાઈન જાહેરાતો પર અંકુશ મૂકવાનો નિર્દેશ
મદ્રાસ હાઈકોર્ટના એક આદેશ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રાજ્યોના બાર કાઉન્સિલનેનિર્દેશ આપ્યો છે કે ઓનલાઈન જાહેરાતો કરતા વકીલોને જાહેરાતો હટાવી દેવાનું કહેવામાં આવે. ખાસ તો વર્ક વિઝા ઓનલાઈન, સ્ટડી વિઝા સહિતની જે જાહેરાતો વકીલો કરતા હોય છે તેમાં અંકુશ લાવવા માટે આ નિર્દેશ અપાયો છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સને પણ વકીલો જાહેરાતો હટાવવા કહેવાયું છે. એમાં કહેવાયું હતું કે કાયદો એક રીતે સમાજની સેવા છે. તેમાં અંગત લાભ માટે જાહેરાતો આપવી યોગ્ય નથી. તેનાથી ગરિમા જળવાતી નથી. જો સૂચના પછીય વકીલો ઓનલાઈન જાહેરાતો ન હટાવે તો તેમની સામે શિસ્તભંગના પગલા લેવાની બાર કાઉન્સિલે ભલામણ કરી છે.
- ઈન્દર સાહની