સુરત: વરાછાના કોર્પોરેટર ભરત મોના ફાયરિંગ કેસમાં યુપીથી બે શુટર ઝડપાયા
- વરાછા જગદીશનગરના પોપડાની કરોડોની જમીન વિવાદમાં સોપારી આપવામાં આવી હતી
સુરત, તા. 20 જુલાઈ 2020 સોમવાર
સુરતના વરાછામાં ભાજપના કોર્પોરેટર ભરત મોના ઉપર વરાછાના જગદીશનગરના પોપડાની કરોડોની જમીન વિવાદમાં ફાયરિંગના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગતરોજ ફાયરિંગ કરનાર બે શુટરોને યુપીથી ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછામાં ભાજપના કોર્પોરેટર ભરત મોના ઉપર થોડા દિવસ પહેલા રાત્રેના સમયે વરાછા વર્ષા સોસાયટી પાસેથી પોતાની મોપેડ લઈને જતા હતા તે વખતે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમને પીઠના ભાગે ઇજા થઇ હતી.
બનાવ અંગે પોલીસે ભરત મોનાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. પરંતુ વરાછા પોલીસ દ્વારા તપાસમાં દરમિયાન કોઈ કડી નહી મળતા બનાવની ગંભીરતા જાઈને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કરી પહેલા જ દિવસે શંકાના આધારે વરાછાના હિસ્ટ્રીશીટરની અટકાયત કરી પુછપરછ કરી હતી. અને આ ફાયરિંગનો કેસ ઉકેલી કાઢી ગુનામાં સંડોવાયેલા પશુપાલક નરેશ માલસુરભાઇ ધગલ ( રબારી ) ( ઉ.વ.32. રહે, જગદીશનગરનો પોપડો, લંબેહનુમાન રોડ, વરાછા), જમીન દલાલ વિજયદાન ગઢવી અને જીતુ નિશાદની ધરપકડ કરી હતી.
નરેશ ધગલની પુછપરછમાં ભરત મોના ઉપર વરાછા જગદીશનગરના પોપડાની કરોડોની જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનુ બહાર આવ્યું હતુ અને તેની સોપારી લંડનના લાભુ મેરે આપી હોવાનુ બહાર આવ્યું હતું.
ઝડપાયેલા બંને શુટરોને જીતુ નિશાદ લાવ્યો હોવાનુ બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચની ઍક ટીમ શુટરોને પકડવા માટે યુપી તપાસ માટે ગઈ હતી અને ગતરોજ યુપીથી શુટર સુરજસિંગ કુંવરસાહબ સીંગ (રહે, સલામતપુર તેજીબજાર, બદલાપુર, જોનપુર) અને રવિકાંત ઉર્ફે સોનલ સંતોષ વર્મા (રહે, વિરમપુર, જોનપુર) ને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેમની પુછપરછ હાથ ધરી છે.