સુરતમાં 2655 કિલો સાબુમાંથી બનાવેલા અનોખા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર
Updated: Sep 19th, 2023
સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
સુરત દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના હેતુથી આ વર્ષે ડૉ.અદિતિ મિત્તલે 2655 કિલો સાબુમાંથી ગણેશજીની અનોખી મૂર્તિ બનાવીને આર્ટ ગેલેરીમાં મુકી છે. ડુમસમાં આવેલા VR મોલમાં રાખવામાં આવેલા ગણેશજીની મૂર્તિ વિશે ડો.અદિતિ મિત્તલે જણાવ્યું કે દર વખતની જેમ આ વખતે પણ તે એવા ગણપતિ બનાવવાની છે જે ખરેખર ઇકો ફ્રેન્ડલી લાગે. આ માટે તેણે સાબુ પસંદ કર્યો. અંદાજે 2655 કિલો સાબુ વડે તેમણે અગિયાર ફૂટ લાંબી, અગિયાર ફૂટ પહોળી અને સાડા છ ફૂટ ઊંચી પ્રતિમા બનાવી. ભારતના ચંદ્રયાન મિશનની થીમ પર તેમણે ભારતીય ત્રિરંગો, ચંદ્રયાન, વિશ્વ, રોકેટ વગેરે બનાવ્યા છે અને ચંદ્રની સપાટી પણ બતાવી છે.
વધુમાં ડો.અદિતિ મિત્તલે જણાવ્યું કે વિસર્જન બાદ સાબુનું જરૂરિયાતમંદ લોકોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. ડો. અદિતિ મિત્તલ છેલ્લા છ વર્ષથી સતત તરબૂચ, ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, મકાઈ વગેરેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવે છે અને વિસર્જન બાદ તેને પ્રસાદ તરીકે અલગ અલગ જગ્યાએ વહેંચવામાં આવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ ગણપતિ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે.