દાહોદમાં કોરોના પોઝિટિવના 16 કેસ આવ્યા
-કોરોનાના 6 દર્દીના મૃત્યુ થયા,65 દર્દીઓ સાજા થયા
દાહોદ તા.13 જુલાઇ 2020 મંગળવાર
દાહોદ જિલ્લામાં અનલોક -2 ના પ્રથમ દિવસથી જ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા કોરોનાના કેસોમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ વિમાસણમાં મુકાઈ ગયો છે.જિલ્લામાં કુલ કેસોમાંથી કોરોનાના સૌથી વધુ 16 કેસો દાહોદ શહેરમાંથી નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા 184 સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા.જે પૈકી 168 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.તેમજ સાગમટે વધુ16 કોરોના સંક્રમિત કેસોમાં વધારો થવા પામ્યો છે.આજરોજ અત્રેના ઝાયડસ હોસ્પિટલમાંથી વધુ છ દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે જતા રહેતા કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 80 પર પહોંચવા પામ્યો છે.
દાહોદ જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો વેપારી મંડળો સહીતના ધંધા રોજગાર કરતા વેપારીઓએ સાવચેતીના ભાગરૃપે દુકાનના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર કરી દીધો છે. છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય તંત્રની કામગીરી પણ વધી જવા પામી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સરકારી ક્વોરેન્ટાઇન તેમજ હોમ કોરોનટાઇન કરી કુલ 8503 લોકોના સેમ્પલ એકત્ર કરી ચકાસણી અર્થે મોકલ્યા હતાં.તે પૈકી8211 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.
હાલ કુલ 157 ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.જોકે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 151 કેસો નોંધાવવા પામ્યા છે.જોકે 65 લોકો કોરોના મુક્ત થઈ હોસ્પિટલમાંથી ઘરે જતા રહેતા હાલ 80 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 6 લોકોનું કોરોના ના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.