ડાયાબિટીસની સારવાર કરાવવા ગયેલા 57 વર્ષના કોરોના દર્દીનું મોત
-દાહોદ જિલ્લામાં કોરોનથી મૃત્યુ થયાનું પ્રથમ કેસ નોંધાયો
દાહોદ તા.1 જુલાઇ 2020 બુધવાર
દાહોદમાં ત્રણ દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવેલા ૫૭ વર્ષના આધેડનું મોત નિપજ્યુ હતું.જેથી દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ પ્રથમ દર્દીનું મોત નિપજ્યાનું સત્તાવાર નોંધાયુ હતું.મળતી માહિતી મુજબ વડોદરામાં સૂચિબદ્ધ દાહોદના રહેવાસી એવા ૫૭ વર્ષના આધેડ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના રસિદભાઈ એસ.ગરબાડાવાળા ગત તા.૨૩મી જૂનના રોજ ડાયાબિટીસની સારવાર માટે વડોદરા મુકામે ગયા હતા. સારવાર કરાવતા પહેલા આ રસીદભાઇના કોરોનાના સેમ્પલ લીધા હતા.
તે બાદ રસિદભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ખાનગી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા હતા. છેલ્લા એકાદ દિવસથી તેમની મૃત્યુના સમાચારો વહેતા થવા પામ્યા હતા.રશીદભાઈ ગરબાડાવાળાનું ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાની આજરોજ સત્તાવાર જાહેરાત કરાઈ હતી.