Get The App

ફિલ્મી ગીતોમાં શાસ્ત્રીય રાગો ક્યાં છે? : રહેમાન

Updated: Dec 21st, 2023

GS TEAM


Google News
Google News
ફિલ્મી ગીતોમાં શાસ્ત્રીય રાગો ક્યાં છે? : રહેમાન 1 - image


- આજનાં ફિલ્મ ગીતો ઉતાવળાં, અર્થહીન શબ્દોવાળાં, ઘોંઘાટિયાં હોવાથી દર્શકોનાં મન -હૃદય સુધી પહાંચતાં નથી. બૈજુ બાવરા, કોહિનૂર, બસંત બહાર, દિલ હી તો હૈ, શંકરાભરણમ, સૂર સંગમ વગેરે ફિલ્મોનાં ગીતમાં મીઠામધુરા રાગનું ઝરણું ખળખળ વહે છે

ભારતીય ફિલ્મ જગતના યુવાન અને પ્રતિભાશાળી સંગીત નિર્દેશક એ.આર. રહેમાન આજકાલ થોડા નારાજ છે. રહેમાન એવું ભારપૂર્વક ઇચ્છે છે  કે આપણી ભારતીય ફિલ્મોમાં દર્શકોનાં અંતરમન બે ઘડી બાગબાગ થઇ જાય એવું મીઠું મધુરું શાસ્ત્રીય સંગીત શા માટે નથી વહેતું ? 

એ.આર.રહમાન થોડા સમય પહેલાં દિલ્હીની સુંદર નર્સરી દ્વારા  યોજાયેલા કથાકાર ફેસ્ટિવલના મહેમાન થયા હતા. કથાકાર ફેસ્ટિવલમાં કથા  કે વાર્તાનું  અને મીઠા મધુરા સંગીતનું મહત્વ મુખ્ય વિષય હતો. કથા કે વાર્તાનું  અને મધુર સંગીતનું મહત્વ બાળપણથી લઇને  શિક્ષણમાં, લોકગીતોમાં,  તહેવાર-ઉત્સવની ઉજવણીમાં, ફિલ્મોમાં હોય છે. આમ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો સંગીતનું પૂજન થાયછે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીતના આદિ દેવ દેવાધિદેવ મહાદેવજી  એટલે કે ભગવાન શિવજી ગણાય છે.  

રહેમાન આ જ મહત્વની બાબતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આપણી ભારતીય ફિલ્મોમાંથી રસપ્રદ કથા એટલે કે વાર્તા અને મન-હૃદય ભીનાં થઇ જાય તેવું શાસ્ત્રીય સંગીત લગભગ અદ્રશ્ય થઇ ગયાં છે. આજે તો મોટાભાગની ફિલ્મોનાં ગીતો ઉતાવળાં, અર્થહીન શબ્દોની રચનાવાળાં, ઘોંઘાટિયાં, સૂર -તાલનો જાણે કે કોઇ તાલમેલ જ ન હોય તેવાં હોય છે. હિન્દી સહિત  ઘણી ફિલ્મોમાં  ધમાલિયું  આઇટમ સોંગ પણ હોય છે, જેને ગીતની રચના કે સંગીત સાથે કોઇ જ લેવાદેવા નથી હોતું. કેમ? આપણે આપણાં દર્શકોને સરસ મજાની વાર્તા અને સૂર-તાલની મીઠાશ સાથેની મજેદાર ફિલ્મ ન આપી શકીએ ? 

 ૨૫ વર્ષની નાની ઉંમરે તમિળ ફિલ્મ રોજાના મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરનારા અને છ  નેશનલ એવોર્ડ્ઝ વત્તા ઓસ્કર અવોર્ડ મેળવનારા  એ.આર. રહેમાન બહુ મહત્વનો અને રસપ્રદ મુદ્દો  રજૂ કરતાં કહે  છે કે હું    હૃદયપૂર્વક ઇચ્છું છું   કે  આપણી ફિલ્મોમાં  શાસ્ત્રીય સંગીતના માલકૌંસ, ભૈરવી, યમન, દરબારી, મલ્હાર, પહાડી વગેરે  રાગ પર  આધારિત  મીઠાં ગીતો, ઠુમરી, ખયાલ, હાલરડાં  વગેરેનો  ઉપયોગ થવો જોઇએ.  રસપ્રદ વાર્તાના પ્રવાહ સાથે ખળખળ વહેતા ઝરણાં જેવાં ગીતો સાંભળીને દર્શકો રાજીના રેડ થઇ જશે. વળી, ફિલ્મના બળકટ માધ્યમ દ્વારા તો  ભારતના  જુદાં જુદાં  રાજ્યોની  લોક  સંસ્કૃતિનો સમન્વય થવો જરૂરી છે. ભારતના જુદા જુદા  પ્રદેશમાં વિવિધ પ્રકારનાં લોક ગીતો, લોક વાદ્યો, લોક સંગીતનો ખજાનો છે. ઉપરાંત, આપણી પાસે શાસ્ત્રીય સંગીતનો મહાસાગર છે. આ બધા વારસાનો ખ્યાલ ફિલ્મનાં દર્શકોને આપવો જરૂરી છે. બોમ્બે,  દિલ સે, તાલ, સ્લમડોગ મિલિયોનર,  જોધા અકબર,  રોકસ્ટાર વગેરે ફિલ્મોમાં મજેદાર  અને  ધૂન બનાવનારા એ. આર. રહેમાન જૂની એટલે કે  ૬૦- ૭૦ ના દાયકાની ફિલ્મોનાં અમર  અને કર્ણમંજુલ  ગીતોમાંના શાસ્ત્રીય સંગીતના મધુર રાગનો  ઉલ્લેખ  કરીને કહે છે કે ફિલ્મ  બૈજુ બાવરાનાં  મન તરપત  હરિ દરસન કો  આજ ગીતમાં રાગ માલકૌંસ, ઓ દુનિયા કે રખવાલે ગીતમાં રાગ દરબારી, ફિલ્મ  બસંત બહારના કેતકી ગુલાબ ગીતમાં રાગ બસંત બહાર, ફિલ્મ શંકરાભરણમ (હિન્દી ફિલ્મ : સૂર સંગમ) ના આયે સૂર કે પંછી આયે ગીતમાં રાગ માલકૌંસ, ફિલ્મ કોહીનૂરના મધુબન મેં રાધિકા નાચે ગીતમાં રાગ હમીર, ફિલ્મ દિલ હી તો હૈ ના ગીત લાગા ચૂનરી મેં દાગમાં રાગ ભૈરવી, ફિલ્મ ગુડ્ડીના બોલે રે પપીહરા ગીતમાં રાગ મિયાં કી મલ્હાર, ફિલ્મ સરસ્વતીચંદ્રના ગીત ચંદન સા બદન ગીતમાં રાગ યમનના કર્ણમંજુલ સૂરનો સાક્ષાત્કાર થાય છે. 

એ.આર.રહેમાન કહે છે, જરા યાદ કરો આ બધાં અમર અને સદાબહાર ગીતો.  નૌશાદ, શંકર-જયકિસન, સચિન દેવ બર્મન, વસંત દેસાઇ, રોશન,  કલ્યાણજી -આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, ખય્યામ વગેરે જેવા આલા દરજ્જાના અને સૂરના સાધક સંગીત નિર્દેશકોએ આપેલો અમર વારસો આપણે  સહુએ સાચવવાનો છે. હા, મને એવી આશા જરૂર છે કે આજની નવી પેઢીના નિર્માતા -દિગ્દર્શકો આ વારસો સાચવવાના જરૂર પ્રયાસ કરશે. 

ફિલ્મ મનોરંજન માટે જરૂર છે પણ ભારતીય સમાજમાં તો સંગીતનું મહત્વ સદીઓથી છે. આ અર્થમાં આપણી ફિલ્મોમાં સંગીતની સૂરીલી સરગમ ખળખળ ઝરણાંની જેમ વહે તેમ જરૂર ઇચ્છું છું.  

Tags :