આપણે ઓનલાઇન, જીવન ઓફ્ફલાઇન
- આપણી ગઈકાલની આદતોમાં કંઈક ખાસ હતું. આપણે લોકોને મળતા હતા. ખાસ્સી ચર્ચાઓ કરતા હતા. માત્ર સ્ક્રીનમાં નહીં, એકમેકમાં રસ લેતા હતા. આ બધું પાછું આવી શકે ખરું?
- ઓટીટીની પહોંચ દુનિયાના 68.07% લોકો સુધી થઈ જવાની ધારણા છે. ભારતમાં ઓટીટી વાપરનારાઓની સંખ્યા ઓલમોસ્ટ પચાસ કરોડને લગભગ આંબી ચૂકી છે
સંજય વિ. શાહ
ઓવર-ધ-ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ શું આવ્યાં કે કોણ જાણે કેટલી બાબતો ઘેરઘેર બદલાઈ ગઈ છે. સૌથી મોટું પરિવર્તન આવ્યું પારિવારિક વાતાવરણમાં, પરિવારજનોના એકમેક સાથેના સંવાદમાં. ટેલિવિઝને ઉપાડો લીધો ત્યારે પણ આવી સ્થિતિ નહોતી. ઇન ફેક્ટ, ટીવીનું, ૧૯૮૦ના દાયકાની શરૂઆતનું રાઉન્ડ પરિવારોને જોડનારું રાઉન્ડ હતું. રોજેરોજ નવ વાગ્યે અમુકતમુક સિરિયલ જોવા, રવિવારે થોકબંધ સિરિયલ્સ જોવા, ફિલ્મો જોવા, ફિલ્મી ગીતો (છાયાગીત, ચિત્રહાર) માણવા ઘરના સૌ સભ્યો એકસાથે ટીવી સામે ચોંટી જતા. ટીવી ક્યારેય પર્સનલ એન્ટરટેઇનમેન્ટ ગેજેટ નહોતું. છેક હમણાં સુધી કે જ્યાં સુધી ઓટીટી આવ્યું નહોતું. જરા ઊંડા પહોંચીએ.
એક સમયે વૈભવ ગણાતી નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, ડિઝની+હોટસ્ટાર અને જિયો સિનેમા (હવે આ છેલ્લી બે એક થઈ ગઈ છે) જેવી ઓટીટી સેવાઓ સૌની જરૂરિયાત બની છે. પારિવારિક તો ઠીક, અંગત ધોરણે જરૂરિયાત બની છે. જેને જ્યારે જે જોવું હોય એ જોવાની સગવડ આ પ્લેટફોર્મ્સે કરી આપી છે. પરંપરાગત ટેલિવિઝન અને સિનેમા કરતાં આ આખી વાત જુદી છે. ડિજિટલ સ્ટ્રીમિંગે દર્શકોની આદતો બદલી નાખી છે. ભારત અને વિશ્વભરમાં પરિવારિક વાતાવરણને એની અવળી અસર પડી છે.
આ વરસના આંકડાઓ જોઈએ તો વિશ્વસ્તરે ઓટીટીઝની આવક ૩૧૬.૪૦ બિલિયન અમેરિકન ડોલર પહોંચવાની ધારણા સેવાઈ રહી છે. આપણા રિલાયન્સ જૂથની કુલ અસ્ક્યામત કરતાં આ રકમ સાડાત્રણગણી છે. સાથે, ઓટીટીની પહોંચ દુનિયાના ૬૮.૦૭% લોકો સુધી થઈ જવાની પણ ધારણા છે. ભારતમાં પણ આ ઇન્ડસ્ટ્રી કૂદકે ને ભૂસ્કે વધી રહી છે. દેશમાં ઓટીટી વાપરનારાઓની સંખ્યા ઓલમોસ્ટ પચાસ કરોડને લગભગ આંબી ચૂકી છે. ભારતીય પ્રજામાં ૬૫%ની ઉંમર ૩૫ કે ઓછી છે. એનો એવો અર્થ થયો કે ઓટીટીની તાકાત, જે આ પ્રજાને આભારી છે, એમાં ચક્રવૃદ્ધિ દરે વધારો થતો જવાનો છે.
ઓટીટી પર મનોરંજનની મુશ્કેલી એ છે કે એના વિશે ઘરમાં પરસ્પર સંવાદને ખાસ અવકાશ નથી. એટલીસ્ટ કહો કે સોમાંથી પંચાણુ ઘરમાં. દરેક જણ જે જોવું હોય એ જુએ છે, પણ એના વિશે વાતચીત કરતા નથી. રામાયણ કે મહાભારતના દિવસોમાં પણ ઘરમાં મનોરંજનનો ડોઝ લેવાતો હતો, પણ એના વિશે તંદુરસ્ત વાતો થતી. કહો કે કોઈક શો જોયા પછી એની પિંજણ કરવી એ મનોરંજનનો પાર્ટ ટુ હતો. એવી ચર્ચાઓ મનને કસતી હતી. લોકોને એકમેક સાથે જોડતી હતી. હવે એ બધું ભૂતકાળની બાબત છે.
માત્ર પારિવારિક સ્તરે શાને, ઓટીટીએ મિત્રતાને, અમસ્તા એકબીજા સાથે ભળવાને પણ ભૂતકાળ બનાવી નાખ્યા છે. એમાં ઉમેરી દો વ્હોટ્સએપ જેવી એપ્સથી સતત અપરિચિતો કે ઓછા અગત્યના લોકો સાથે કનેક્ટ રહેવાની તાલાવેલી. પછી ઉમેરી દો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે વગેરે પર પોપ્યુલર થવાની, લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાની બિનજરૂરી લાહ્ય. એ બધાને લીધે થાય છે શું કે ઓળખીતાઓ સાથે હોય છે પણ શરીરથી જ. કલ્પના કરો કે એક મિત્રમંડળી પિકનિક પર નીકળી છે. કલ્પના કરો કે એક યુગલ છ-આઠ મહિને માંડ ફુરસદ મેળવીને કશેક મજાની સાંજ વિતાવવા નીકળ્યું છે. બેઉ કિસ્સામાં કોમન એ હશે કે માંડ સાથે રહેવાની મળેલી તકનો ખાસ્સો સમય ઓનલાઇન બરબાદ થતો હશે. ખરેખર લોકો એકબીજા સાથે હોય એવો સમય તો ઓછો જ હશે.
ઓટીટીની અને ઓનલાઇન કોન્ટેન્ટની હજી એક કમઠાણ એટલે નહીં જોવાની ચીજો પણ જોયે રાખવાની લત. આ લતમાં તો શોર્ટ્સ અને રીલ્સનો દબદબો વધ્યો છે. ભલે એમાંના અઠ્ઠાણુ ટકા વીડિયો જોઈને જીવનમાં નથી મનોરંજન ઉમેરાતું કે નથી બુદ્ધિને કોઈ ફાયદો થતો. આ સ્થિતિ આગળ જતાં હજી ખરાબ થવાની છે. વળી, માણસો પોતાની ચોઇસથી કશુંક જોતા હોય એવું પણ ઓનલાઇન મનોરંજનના મામલે મર્યાદિત ધોરણે થાય છે. ફિલ્મના કિસ્સામાં એવું હોય કે જેને જે ફિલ્મ જોવી હોય એના માટે એ સ્વયં વિચાર કરે, સમય ફાળવે, થિયેટર સુધી તણાય અને ફિલ્મ જુએ. ટીવી પર પણ ભલે બકવાસ સિરિયલ્સ આવતી હોય પણ મોટાભાગે જોનારા પોતાની પસંદથી કશુંક જોતા હોય છે. ચેનલ સફગ પણ થાય છતાં, એ મગજને શોર્ટ્સ કે રીલ્સની જેમ ભ્રમિત કરી નાખે એવું સજ્જડ નથી હોતું. વળી, ચેનલ સફગમાં જે ચેનલ્સ માથે પડે એના પ્રકાર ઓછા. કાં તો જનરલ એન્ટરટેઇનમેન્ટ હોય, ન્યુઝ હોય, ધર્મ હોય અને એવું કશુંક હોય. ટીવી પર હજી ગંદકી ઓછી છે. ફિલ્મોને કાબૂમાં રાખવા સેન્સર બોર્ડ જેવું છે એવું છે. ઓટીટીનો કોઈ પૂછનાર નથી. શોર્ટ્સ અને રીલ્સને તો એના કરતાંય ઓછાં બંધનો છે.
જીવનને જફામાં મૂકતું અટકાવવા માટે ક્યારેક ગંભીરપણે વિચાર તો કરવો જ પડશે કે આખરે આપણે આ કઈ દુનિયામાં આવી ગયા. આપણે કેમ થોડો સમય પુસ્તક લઈને, અખબાર લઈને બેસતા નથી? આપણે કેમ અસમતા કોઈક યાર-દોસ્તના ઘરે જઈને, બસ મળવાની ઇચ્છા થઈ એવું હવે પહેલાં જેટલું કરતા નથી? આ આદતો વાસ્તવમાં જીવન ઘડતરની, સંબંધોને મહેકાવાની આદતો હતી. એમાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક વ્યાયામ પણ હતો. એ આદતો વિના જીવન ખરેખર મોળું છે એ એકવાર ફરી સમજવાની જરૂર છે. જો સમજી શકાય તો....